Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

११. हेतुफलाश्रयालम्बनैः संगृहीतत्वाद् एषाम् अभावे तदभावः ।
11. hetu phala ashraya alambana samgrihitatvat esam abhave tad abhavah

વાસનાઓનો સંગ્રહ ચાર વાતોથી થઇ શકે છે. હેતુ, ફલ, આશ્રય ને આલંબન. એ ચારેનો અભાવ થઇ જતાં, વાસનાઓનો પણ અભાવ થઇ જાય છે.

૧) હેતુ - વાસનાઓનો હેતુ અવિદ્યાદિ ક્લેશ ને તેની હયાતિમાં થનારાં કર્મો છે.
ર) ફળ - વાસનાઓનું ફળ પુનર્જન્મ, આયુ ને ભોગ છે.
3) આશ્રય - વાસનાઓનું આશ્રયસ્થાન ચિત્ત છે.
૪) આલંબન - શબ્દાદિ વિષયો વાસનાઓનું આલંબન કહેવાય છે.

યોગસાધનાથી તેનો અભાવ થઇ જાય છે. એટલે વિવેકજ્ઞાનથી અવિદ્યાનો નાશ થઇ જાય છે ત્યારે કર્મોમાં ફળ દેવાની શક્તિ નથી રહેતી, ને ચિત્ત પોતાના મૂળ કારણમાં મળી જાય છે. તે બધા પદાર્થના રહેવાથી પુરુષનો વિષય સાથેનો સંબંધ પણ નથી રહેતો. એટલે હેતુ, ફળ, આશ્રય ને આલંબન ચારેનો અભાવ થઇ જવાથી વાસનાઓનો અભાવ થઇ જાય છે. યોગીનો પુનર્જન્મ પણ પછી નથી થતો.

*

१२. अतीतानागतं स्वरूपतोऽस्त्यध्वभेदाद् धर्माणाम् ।
12. atita anagatam svarupatah asti adhva bhedat dharmanam

કોઇપણ વસ્તુનો કાયમ માટે અભાવ નથી થતો. વસ્તુના ધર્મ, ચિત્ત ને વાસના વગેરે કેટલેક અંશે અતીતકાળમાં રહે છે, કેટલેક અંશે ભવિષ્યકાળમાં અનાગત થઇને પણ રહે છે. વર્તમાનમાં રહેનારી વસ્તુનું જ અસ્તિત્વ ને બીજાનું નહિ, એમ સમજવાનું નથી. અતીત અથવા અનાગત અવસ્થામાં રહેનારી વસ્તુ પણ અવ્યક્ત રીતે પોતાના કારણમાં તો રહે છે જ. વાસના તથા ચિત્ત વગેરે પોતાના કારણમાં મળી જાય તે જ તેમનો નાશ અથવા અભાવ કહેવાય છે. તેની સાથેનો સંબંધ તૂટી જવાથી યોગીના પુનર્જન્મની શક્યતા ટળી જાય છે.

*

१३. ते व्यक्तसूक्ष्मा गुणात्मानः ।
13. te vyakta suksmah guna atmanah

તે ધર્મો વર્તમાન સ્થિતિમાં ને અનાગત કે અતીત અથવા સૂક્ષ્મ દશામાં હોય છે, ત્યારે પણ ગુણસ્વરૂપ જ હોય છે. ધર્મરૂપી બધી જ જુદીજુદી વસ્તુઓમાં ગુણ કારણરૂપે સદાય હાજર રહે છે. ગુણસ્વરૂપે તે સદાય વિદ્યમાન રહે છે. પરંતુ તે પરિણામશીલ હોવાથી તેમાં કાયમ માટે પરિવર્તન થયા કરે છે.

*

१४. परिणामैकत्वाद् वस्तुतत्त्वम् ।
14. parinama ekatvat vastu tattvam

પરસ્પર વિરોધી સ્વભાવવાળા ગુણોનું પરિણામ એક આવે છે, અથવા બધા ગુણોના મિલનમાંથી કોઇ એક વસ્તુ પરિણમે છે, એ વાત ન માનવા જેવી નથી. દાખલા તરીકે, પૃથ્વી ને પાણી મળીને સૂર્ય ને ચંદ્રમાનાં કિરણોના સંબંધથી વૃક્ષના રૂપમાં પરિણમે છે, ને પછી તેમાં નામ, રૂપ ને આકારની દૃષ્ટિએ ભેદ જોવા મળે છે. પરંતુ તે બધી વસ્તુઓ ગુણસ્વરૂપ જ હોય છે. તેનાથી ભિન્ન નથી હોતી.

*

१५. वस्तुसाम्ये चित्तभेदात् तयोर्विभक्तः पन्थाः।
15. vastu samye chitta bhedat tayoh vibhaktah panthah

જે લોકો એમ કહે છે કે દૃશ્ય કોઇ વસ્તુ જ નથી. વાસનાના પ્રભાવથી ચિત્ત જ દૃશ્યના રૂપમાં પ્રતીત થાય છે, તેમનું કથન બરાબર નથી. કેમ કે, એક વસ્તુ અનેક લોકોના ચિત્તોનો વિષય બને છે. જો તે વસ્તુ કોઇ એક જ ચિત્તની કલ્પના છે એમ માનવામાં આવે, તો તે અનેક ચિત્તોનો વિષય કેવી રીતે બની શકે ? એક ચિત્તની કલ્પનાનું સ્વરૂપ બધાં ચિત્તોને કેવી રીતે દેખાઇ શકે ? પરંતુ વસ્તુ એક ને નહિ, અનેકને દેખાય છે. તે ઉપરાંત, વસ્તુને અનેક ચિત્તની કલ્પના માનવામાં આવે તો તે પણ ઠીક નહિ થાય. કેમ કે જુદે જુદે વખતે તે વસ્તુ અનેક ચિત્તનો વિષય થતી હોય છે. તો પછી તેને ક્યાં ક્યાં અનેક ચિત્તોની કલ્પના કહેવી ? તેથી, વસ્તુને એકતા ને તેને અનુભવનારાં ચિત્તોની અનેકતા છે. તે બંને વસ્તુ કે પદાર્થો જુદાજુદા છે. તે માન્યતા જ બરાબર લાગે છે. દૃશ્યના બહારના સ્વરૂપને ઉડાવી દેવાની જરૂર નથી.