०६. तत्र ध्यानजम् अनाशयम् ।
6. tatra dhyana jam anasayam
જન્મ, મંત્ર, ઔષધિ, તપ ને સમાધિ દ્વારા ચિત્તની ઉન્નતિ થાય છે, અથવા ચિત્ત વિશેષતા ધારણ કરે છે. પરંતુ જન્મ, મંત્ર ને ઔષધિ દ્વારા લોકોત્તર શક્તિથી સંપન્ન થયેલા ચિત્તમાં કર્મોના સંસ્કાર રહી જાય છે. ને ધ્યાનજનિત અથવા સમાધિ દ્વારા શક્તિશાળી બનેલા ચિત્તમાં કર્મોના સંસ્કાર રહેતા નથી. તેવું ચિત્ત ઉત્તમ છે. કેમ કે તે કૈવલ્યનું કારણ થઇ શકે છે.
*
०७. कर्माशुक्लाकृष्णं योगिनः त्रिविधम् इतरेषाम् ।
7. karma ashukla akrisnam yoginah trividham itaresam
યોગીનાં કર્મો અશુક્લ ને અકૃષ્ણ હોય છે, ને બીજા માણસોનાં ત્રણ પ્રકારનાં હોય છે.
સુખોપભોગનું કારણ થઇ પડનારાં પુણ્યકર્મો શુક્લ કર્મો કહેવાય છે. ને દુઃખનું કારણ કહેવાતાં પાપકર્મો કૃષ્ણકર્મોના નામથી ઓળખાય છે. પૂર્ણતાએ પહોંચેલા યોગીનાં કર્મો બધી જાતના ભોગથી રહિત હોય છે. તે તેને સારા કે નરસા ફળબંધનમાં બાંધતા નથી. એટલા માટે અશુક્લ ને અકૃષ્ણ કહેવાય છે. બીજા સાધારણ માણસોના કર્મનાં ત્રણ પ્રકાર કહેવામાં આવે છેઃ
૧) શુક્લ અથવા તો પુણ્યકર્મ
ર) કૃષ્ણ અથવા તો પાપકર્મ ને
3) પાપ ને પુણ્યના મિશ્રણવાળાં શુક્લકૃષ્ણ કર્મો.
*
०८. ततस्तद्विपाकानुगुणानाम् एवाभिव्यक्तिर्वासनानाम् ।
8. tatah tad vipaka anugunanam eva abhivyaktih vasananam
તે કર્મો સંસ્કારરૂપે માણસના અંતઃકરણમાં કાયમ રહે છે. તે કર્મોના સમૂહમાંથી જે વખતે જે કર્મનું ફળ આપવાનું કામ શરૂ થાય છે, તે વખતે તે કર્મના ફળને બંધબેસતી વાસના પણ પ્રકટ થાય છે. બીજાં કર્મોના ફળભોગની વાસના પ્રકટ થતી નથી.
*
०९. जातिदेशकालव्यवहितानाम् अप्यानन्तर्यं । स्मृतिसंस्कारयोः एकरूपत्वात् ।
9. jati desha kala vyavahitanam api anantaryam smriti samskarayoh eka rupatvat
કોઇ કર્મ એક જન્મમાં ને કોઇ બીજું કર્મ બીજા જ જન્મમાં કરવામાં આવ્યું હોય છે. કર્મોમાં જન્મોનું વ્યવધાન તેને કહે છે. તે પ્રમાણે કર્મોમાં દેશ ને કાળનું વ્યવધાન પણ હોય છે. તેવી રીતે કર્મોમાં જન્મ, દેશ ને કાળનું વ્યવધાન હોવાં છતાં પણ, જે વખતે જે કર્મનું ફળ મળવાનું હોય, તે વખતે તેને અનુકૂળ એવી ભોગવાસના પ્રકટ થવામાં કોઇ હરકત નથી આવતી. કેમ કે સ્મૃતિ ને સંસ્કાર બંને એક છે. કોઇને પોતાના પૂર્વજન્મનાં કર્મોના ભોગ માટે ધારો કે પશુયોનિ પ્રાપ્ત થઇ હોય, તો તે યોનિની પ્રાપ્તિ થતાં જ તેની વાસના તેના અંતરમાં પ્રકટ થઇ જશે. સ્મૃતિ ને સંસ્કારોની એકતા હોવાને લીધે જે જાતનું ફળ મળવાનું હોય, તે જાતની ભોગવાસના કે સ્મૃતિ પ્રકટ થાય છે.
*
१०. तासाम् अनादित्वं चाशिषो नित्यत्वात् ।
10. tasam anaditvam cha ashisah nityatvat
તે વાસનાઓ અનાદિ છે. કેમ કે પ્રત્યેક પ્રાણીને જીવનની ઇચ્છા વળગેલી છે. મૃત્યુનો ભય દરેક નાનામોટા જીવમાં દેખાય છે. તેથી જન્મજન્માંતર કે પૂર્વજન્મની સિદ્ધિ થાય છે. એટલે વાસનાઓનું અનાદિપણું પણ આપોઆપ સિદ્ધ થાય છે.

