॥ अथ चतुर्थः कैवल्यपादः ॥
०१. जन्मौषधिमन्त्रतपःसमाधिजाः सिद्धयः ।
1. janma osadhi mantra tapah samadhi jah siddhyayah
જન્મથી, ઔષધિથી, મંત્રથી, તપથી ને સમાધિથી - એમ સિદ્ધિઓ પાંચ પ્રકારે પ્રાપ્ત થનારી હોય છે.
શરીર, મન ને ઇન્દ્રિયોમાં ફેરફાર થવાથી કેટલીક વિશેષ ને અલૌકિક શક્તિઓનો આવિર્ભાવ થાય છે. તે સિદ્ધિ કહેવાય છે. તે સિદ્ધિ પાંચ પ્રકારે થઇ શકે છે :
૧) જન્મથી મળનારી સિદ્ધિ - જ્યારે જીવાત્મા મૃત્યુ પછી એક યોનિમાંથી બીજી યોનિમાં જાય છે, ત્યારે તેના પ્રારબ્ધ પ્રમાણે, શરીર, મન ને ઇન્દ્રિયો બદલાઇને કેટલીક લોકોત્તર શક્તિની પ્રાપ્તિ કરે છે. મનુષ્યયોનિથી દેવયોનિની પ્રાપ્તિ થવાથી તેવી શક્તિ સહેજે મળી જાય છે. અથવા તો જન્માંતર-કર્મ કે પુરુષાર્થના ફળરૂપે કેટલીક અલૌકિક શક્તિઓ કેટલાક લોકોત્તર પુરુષોમાં જન્મથી જોવા મળે છે. શંકરાચાર્ય, વ્યાસ, કપિલ તથા જ્ઞાનેશ્વર તેનાં ઉદાહરણ છે. તે જન્મજા એટલે જન્મથી મળનારી સિદ્ધિ કહેવાય છે.
ર) ઔષધિથી મળનારી સિદ્ધિ - ઔષધિના સેવનથી અથવા તો કલ્પ કરવાથી પણ કેટલીક વિશેષ શક્તિની પ્રાપ્તિ થાય છે. અખંડ યૌવનની પ્રાપ્તિ, શીતોષ્ણતાને સહન કરવાની શક્તિ, સમાધિ પ્રવેશ, વ્યાધિરહિતતા તથા ક્ષુધા-તૃષાનો વિજય - એવી એવી સિદ્ધિ કેવલ ઔષધિના સેવનથી મળી શકે છે.
3) મંત્રથી મળનારી સિદ્ધિ - મંત્રના જપ, પ્રયોગ ને અનુષ્ઠાનથી પણ કેટલીક વિશેષ શક્તિની પ્રાપ્તિ થાય છે.
૪) તપથી મળનારી સિદ્ધિ - તપ અથવા વિધિપૂર્વકની સાધનાથી સાધકનું તન, મન ને અંતર તદ્દન નિર્મળ બની જાય છે, ને અલૌકિક શક્તિની પ્રાપ્તિ થાય છે. તપ દ્વારા સિદ્ધિ મેળવનારા યોગી પુરુષો ભારતવર્ષમાં અનેકની સંખ્યામાં થઇ ગયા છે. તે સિદ્ધિઓ મળતાં શરીર, મન ને ઇન્દ્રિયો પલટાઇ જાય છે કે અલૌકિક થઇ જાય છે. તેને પરિણામાન્તર અથવા જાતિ-અંતર-પરિણામ કહેવામાં આવે છે.
*
०२. जात्यन्तरपरिणामः प्रकृत्यापूरात् ।
2. jatyantara parinamah prakriti apurat
પ્રકૃતિનાં આવશ્યક તત્વોને એકઠાં કરવાથી ઉપર કહેલું જાત્યંતર પરિણામ સિદ્ધ થઇ શકે છે.
*
०३. निमित्तम् अप्रयोजकं प्रकृतीनां । वरणभेदस्तु ततः क्षेत्रिकवत् ।
3. nimittam aprayojakam prakritinam varana bhedas tu tatah ksetrikavat
જન્મ, ઔષધિ જેવાં નિમિત્ત કારણથી પ્રકૃત્તિની પૂર્ણતા કેવી રીતે થાય છે, તે પ્રકૃતિના પ્રયોજક છે કે કેમ, એવો પ્રશ્ન થવાનો સંભવ છે. તેને તે વિશે કહેવાનું કે જન્મ ને ઔષધિ આદિ તો નિમિત્ત કારણ છે. તે પ્રકૃતિને એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં લઇ જવાની શક્તિ ધરાવતા નથી. તેમનું કામ તો આવરણ કે અંતરાયને દૂર કરી દેવાનું છે. તેમ થતાં પ્રકૃતિનાં તત્વોની પૂર્તિ તો આપોઆપ થઇ જાય છે. આ સંબંધી ખેડૂતનું ઉદાહરણ સમજવા જેવું છે. ખેડૂત ખેતરમાં પાણી લઇ જાય છે, તેનો અર્થ એમ નથી કે તે પાણી પર સત્તા ચલાવે છે. તે તો પાણીને પસાર થવાના માર્ગને સાફ કરે છે, ને પાણીના માર્ગના અંતરાયોને દૂર કરે છે. તેમ થતાં પાણી પોતાના સ્વભાવ પ્રમાણે આપોઆપ વહેવા માંડે છે. જન્મ જેવાં નિમિત્તોથી પણ જ્યારે પ્રકૃતિના અંતરાય દૂર થઇ જાય છે ત્યારે શરીર, મન ને ઇન્દ્રિયોની અલૌકિકતાને માટે જે જે તત્વોની આવશ્યકતા હોય છે, તેમની પૂર્તિ તરત થઇ જાય છે. કમીને પૂર્ણ કરી દેવાનો પ્રકૃતિનો સ્વભાવ છે.
*
०४. निर्माणचित्तान्यस्मितामात्रात् ।
4. nirmana chittani asmita matrat
ચિત્તનું ઉપાદાન કારણ અસ્મિતા છે. તેથી નિર્માણ કરાયેલાં કે બનાવેલા બધાં ચિત્ત ફક્ત અસ્મિતાથી ઉત્પન્ન થયાં હોય છે. યોગી અસ્મિતાના બલથી ચિત્તનું નિર્માણ કરી શકે છે.
*
०५. प्रवृत्तिभेदे प्रयोजकं चित्तम् एकम् अनेकेषाम् ।
5. pravritti bhede prayojakam chittam ekam anekesam
શરીરની અંદર જુદીજુદી ઇન્દ્રિયોને જુદાજુદા કામમાં લગાડનારું ચિત્ત એક હોય છે. તે પ્રમાણે જુદાંજુદાં નિર્માણ કરાયેલાં ચિત્તને દોરનારું અથવા તો કર્તવ્યમાં પ્રેરનારું યોગીનું મૂળ ચિત્ત તો એક જ હોય છે.

