Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

५१. स्थान्युपनिमन्त्रणे सङ्गस्मयाकरणं पुनः अनिष्टप्रसङ्गात् ।
51. sthani upanimantrane sanga smaya akaranam punuh anista prasangat

યોગીની સાધનાની દૃઢતા થતાં, તેને મોટામોટા લોકપાલ દેવતા ને સિદ્ધ પુરુષોનાં દર્શન થાય છે. તે વખતે જુદા જુદા લોકોના ભોગોથી તેણે સાવધાન રહેવું જોઇએ. તેમના પ્રલોભનોમાં ના પડવું જોઇએ. સિદ્ધોના દર્શનથી તેણે અહંકાર પણ ના કરવો જોઇએ. વિષયસંગ ને અભિમાનથી જન્મ-મરણના ચક્રમાં પડવાનો ને યંત્રણા ભોગવવાનો માર્ગ ખુલ્લો થાય છે.

*

५२. क्षणतत्क्रमयोः संयमादविवेकजं ज्ञानम् ।
52. ksana tat kramayoh samyamat viveka-jam jnanam

કાળના નાનામાં નાના વિભાગને ક્ષણ કહેવામાં આવે છે. એક ક્ષણ પછી બીજી ક્ષણને પસાર થવાના પ્રવાહને ક્રમ કહેવામાં આવે છે. તે ક્રમને ક્ષણમાં સંયમ કરવાથી વિવેકજ્ઞાનની ઉત્પત્તિ થાય છે.

*

५३. जातिलक्षणदेशैरन्यताऽनवच्छेदात् तुल्ययोस्ततः प्रतिपत्तिः ।
53. jati laksana desha anyata anavachchhedat tulyayoh tatah pratipattih

વસ્તુની જાતિ, વસ્તુનું લક્ષણ ને સ્થાન એ ત્રણેના ભેદથી વસ્તુઓની ભિન્નતા જણાઇ આવે છે. પરંતુ તે ત્રણના ભેદથી પણ જે વસ્તુની ભિન્નતાનું જ્ઞાન ના થઇ શકે, તેનું જ્ઞાન વિવેકજ્ઞાનથી સહેજે થઇ જાય છે.

*

५४. तारकं सर्वविषयं सर्वथाविषयम् अक्रमं चेति विवेकजं ज्ञानम् ।
54. tarakam sarva visayam sarvatha visayam akramam cha iti viveka jam jnanam

વિવેકજ્ઞાન સંસારમાંથી ઉધ્ધાર કરનારું છે. સઘળા પદાર્થોનું જ્ઞાન કરાવનારું છે. અક્રમ એટલે કે બધી વસ્તુઓને કોઇ પણ પ્રકારના ક્રમ વિના એકસાથે જણાવનારું છે. અથવા તો ઉત્તમમાં ઉત્તમને પરિવર્તનથી પર છે.

*

५५. सत्त्वपुरुषयोः शुद्धिसाम्ये कैवल्यम् इति ।
55. sattva purusayoh suddhi samye kaivalyam iti

બુદ્ધિ નિર્મળ બનીને પોતાના કારણમાં વિલીન થઇ જાય, ને પુરુષ પણ નિર્મળ બની જાય, એટલે કે બુદ્ધિ સાથેના પુરુષના અજ્ઞાનમય સંબંધનો ને મલ-વિક્ષેપ-આવરણનો અંત આવી જાય, ત્યારે બંનેની શુદ્ધિ થઇ એમ કહેવાય છે. કોઇપણ પ્રકારે, એ પ્રમાણે બંનેની સમાનભાવે શુદ્ધિ થઇ જાય એટલે કૈવલ્યની પ્રાપ્તિ થાય છે.


॥ इति पतञ्जलि विरचिते योगसूत्रे तृतीयो विभूतिपादः ॥

॥ વિભૂતિપાદ સમાપ્ત ॥