२१. कायरूपसंयमात् तद्ग्राह्यशक्तिस्तम्भे चक्षुःप्रकाशासंप्रयोगेऽन्तर्धानम् ।
21. kaya rupa samyama tat grahya shakti tat stambhe chaksuh prakasha asamprayoga antardhanam
પોતાના શરીરના રૂપમાં સંયમ કરી લેવાથી યોગી બીજાની નજરે પડનારા શરીરના બાહ્યરૂપનો અવરોધ કરી શકે છે. ત્યારે બીજાની આંખના પ્રકાશ સાથે તેના શરીરનો સંબંધ નથી થતો. એટલે યોગી અંતર્ધાન થઇ શકે છે.
*
२२. एतेन शब्दाद्यन्तर्धानमुक्तम् सोपक्रमं निरुपक्रमं च कर्म । तत्संयमाद् अपरान्तज्ञानम्, अरिष्टेभ्यो वा ।
22. etena shabdadi antardhanam uktam sopakramam nirupakramam cha karma tat samyama aparanta jnanam aristebhyah va
માણસનું આયુષ્ય બે પ્રકારનાં કર્મો પર આધાર રાખે છે. એક તો સોપક્રમ ને બીજાં નિરૂપક્રમ કર્મ. જેમનું ફલ આપવાનું કામ શરૂ થઇ ગયું છે તે સોપક્રમ કર્મ કહેવાય છે, ને જે કર્મોએ ફલ આપવાની શરૂઆત નથી કરી તે નિરૂપક્રમ કર્મો કહેવાય છે. તે બંને પ્રકારનાં કર્મો પર સંયમ કરવાથી યોગીને મૃત્યુનું જ્ઞાન થઇ શકે છે. તે ઉપરાંત, અરિષ્ટો અથવા ખરાબ ચિહ્નોથી પણ મૃત્યુનું જ્ઞાન થઇ શકે છે.
*
२३. मैत्र्यादिषु बलानि ।
23. maitri dishu balani
મૈત્રી જેવી ભાવનાઓમાં સંયમ કરવાથી તે તે ભાવનાઓને અનુરૂપ શક્તિ મળે છે.
મૈત્રી, કરુણા ને મુદિતા - ત્રણ ભાવનાઓનો ઉલ્લેખ આગળ પર આવી ગયો છે. તે પ્રમાણે સુખી મનુષ્યોમાં મિત્રતાની ભાવના કરવાની છે. તેવી ભાવનાના સંયમથી યોગી સૌનો મિત્ર બની સૌને સુખ પહોંચાડવાની શક્તિમાં પ્રવીણતા મેળવે છે. દુઃખી મનુષ્યોમાં કરુણાની ભાવના કરવાથી ને તેનો સંયમ સાધવાથી યોગીનો સ્વભાવ ખૂબ જ દયાળુ ને કોમળ થઇ જાય છે, ને તેનામાં બીજા જીવોનાં દુઃખ દૂર કરવાની શક્તિ આવે છે. પુણ્યશાળી પુરુષોમાં મુદિતાની ભાવના કરવાથી ને તેનો સંયમ સાધવાથી યોગી રાગદ્વેષથી પર થઇને સદાને માટે પ્રસન્ન બની જાય છે. કોઇયે સંજોગોમાં તેને ભય કે શોક થતો નથી. બીજાને પણ તે પ્રસન્ન કરી શકે છે.
*
२४. बलेषु हस्तिबलादीनि ।
24. baleshu hasti baladini
જુદાંજુદાં બલોમાં સંયમ કરવાથી હાથીના બલ જેવા બીજાં બલ પ્રાપ્ત થાય છે.
હાથીના બલમાં સંયમ કરવાથી હાથી જેવું ને તે પ્રમાણે જેના જેના બલમાં સંયમ કરવામાં આવે તેના જેવું બલ યોગીને પ્રાપ્ત થઇ શકે છે.
*
२५. प्रवृत्त्यालोकन्यासात् सूक्ष्मव्यवहितविप्रकृष्टज्ञानम् ।
25. pravrittyah aloka nyasat suksma vyavahita viprakrista jnanam
કેટલાક પદાર્થોનું જ્ઞાન સાધારણ માણસને થઇ શકતું નથી. જે પદાર્થ અત્યંત સૂક્ષ્મ હોય તેનું દર્શન તેને માટે મુશ્કેલ થઇ પડે છે. એવા પદાર્થોમાં જીવાત્મા, ચક્રો, કુંડલિની, પરમાણુ વગેરેનો સમાવેશ થાય છે. બીજા પ્રકારના પદાર્થ વ્યવહિત એટલે કે છુપાયેલા અથવા ગુહ્ય પદાર્થ કહેવાય છે. ભૂગર્ભમાં ધન, સમુદ્રમાં મોતી વગેરે તેવા પદાર્થો છે. તેમનું દર્શન પણ સાધારણ માણસને માટે શક્ય નથી. ત્રીજી જાતના પદાર્થો વિપ્રકૃષ્ટ અથવા તો દૂર પડેલા કહેવાય છે. માણસ ભારતના એક વિભાગમાં હોય ને પદાર્થ કોઇ બીજા જ પ્રદેશમાં હોય અથવા માણસ ભારતમાં ને પદાર્થ ભારતની બહાર હોય તેવા પદાર્થનું દર્શન તે નથી કરી શકતો. પરંતુ યોગીને તેવા પદાર્થનું જ્ઞાન થઇ શકે છે.
જ્યોતિષ્મતી પ્રવૃત્તિના અલૌકિક પ્રકાશ દ્વારા યોગી તેવા પદાર્થોને ધારે ત્યારે જોઇ શકે છે.

