१६. परिणामत्रयसंयमाद् अतीतानागतज्ञानम् ।
16. parinimah traya samyama atita anagata jnana
તે ત્રણે પરિણામોમાં સંયમ કરવાથી ભૂત તથા ભવિષ્યનું જ્ઞાન થઇ જાય છે.
ત્રણે પરિણામોમાં ધારણા, ધ્યાન ને સમાધિ કરવી તેને સંયમ કહે છે. ત્રણે પરિણામોમાં સંયમ કરવાથી યોગી કોઇપણ વસ્તુનું મૂળ કારણ જાણી શકે છે, વર્તમાન દશાના તેના રહસ્યને પણ સમજી શકે છે ને ભવિષ્યમાં વિવિધ પ્રકારનાં પરિવર્તનોમાંથી પસાર થઇને તેના નક્કી થનારા સ્વરૂપનું જ્ઞાન પણ મેળવી શકે છે.
*
१७. शब्दार्थप्रत्ययानाम् इतरेतराध्यासात् संकरः तत्प्रविभागसंयमात् सर्वभूतरुतज्ञानम् ।
17. shabda artha pratyaya itaretara adhyasat samkara tat pravibhaga samyama sarva bhuta ruta jnana
શબ્દ, અર્થ ને જ્ઞાન એ ત્રણેનું એકમાં બીજાનો અધ્યાસ થવાને લીધે મિશ્રણ થઇ ગયું છે. તે ત્રણેના વિભાગમાં સંયમ કરવાથી સઘળાં પ્રાણીની વાણીનું જ્ઞાન થઇ જાય છે.
વિભૂતિની પ્રાપ્તિનું રહસ્ય જે અનુભવી યોગી હોય તે જ સમજી શકે છે. વિભૂતિની આખીયે વાત અનુભવગમ્ય છે. બુદ્ધિ કે તર્ક દ્વારા તેનો સાચો ઉકેલ કદી પણ પ્રાપ્ત ના થઇ શકે.
*
१८. संस्कारसाक्षत्करणात् पूर्वजातिज्ञानम् ।
18. samskara saksat karanat purva jati jnanam
તન, મન ને ઇન્દ્રિયોથી જે કાંઇ કર્મ કરવામાં આવે કે અનુભવવામાં આવે, તેના સંસ્કાર અંતઃકરણમાં એકઠા થાય છે. તે સંસ્કાર બે જાતના હોય છે. એક તો વાસનારૂપ ને બીજા ધર્માધર્મરૂપ. એક સ્મૃતિના ને બીજા આયુ તથા ભોગના કારણરૂપ હોય છે. જન્મજન્માંતરથી એ સંસ્કાર એકઠા થયા કરે છે. તેમાં સંયમ કરવાથી યોગીને પૂર્વજન્મનું જ્ઞાન થઇ શકે છે. તે રીતે યોગી બીજાનો પૂર્વજન્મ પણ જાણી શકે છે.
*
१९. प्रत्ययस्य परचित्तज्ञानम् ।
19. pratyayasya para chitta jnana
ચિત્ત પર સંયમ કરી લેવાથી બીજાના ચિત્તનું જ્ઞાન થઇ શકે છે.
*
२०. न च तत् सालम्बनं तस्याविषयीभूतत्वात् ।
20. na cha tat salambana tasya avisayin bhutatvat
ચિત્ત પર સંયમ કરવાથી યોગીને બીજાના ચિત્તનું જ્ઞાન થાય છે. પરંતુ તે જ્ઞાન આલંબન સહિત ચિત્તનું નથી હોતું. એટલે કે બીજાનું ચિત્ત જે વિષયનું ચિંતન કરે છે, તેનું જ્ઞાન નથી થતું. કેમ કે યોગીના ચિત્તનો વિષય બીજાનું ચિત્ત છે, તેનું આલંબન નથી. તેનો અર્થ એમ નથી કે બીજાનું ચિત્ત જે વિષયનું ચિંતન કરે છે, તે વિષયનું જ્ઞાન યોગીને નથી થતું. તેનો સંકલ્પ કરી, તેના પર સંયમ કરવાથી તેને તેનું જ્ઞાન પણ થઇ શકે છે.

