Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

જાન્યુઆરી ૧૯૬૭ની વાત છે.

રાજસ્થાનના સુંદર નગર કોટામાં આવેલી બી.એડ.ની કોલેજમાં ઈનામ વિતરણનો સમારંભ ચાલી રહેલો. આ સમારંભમાં મને પણ આમંત્રણ હતું.

સમારંભનો કેટલોક પ્રારંભનો કાર્યક્રમ પતી ગયા પછી જેમને સંગીતની હરિફાઈમાં ઈનામ મળેલાં તેવાં કેટલાક સ્ત્રી-પુરુષોએ વારાફરતી જે ગીતો માટે તેમને ઈનામ મળેલાં તે ગીતો ગાયાં.

એ દરમ્યાન એક તેર-ચૌદ વરસના છોકરાએ હારમોનિયમ પર સંત તુલસીદાસનું રચેલું પેલું સુંદર ગીત ઉપાડ્યું.

‘જાનકીનાથ સહાય કરે જબ, કૌન બિગાડ શકે નર તેરો ?

સૂરજ, મંગલ, સોમ, ભૃગુસુત, બુધ, અરૂ, ગુરૂ વરદાયક તેરો;

રાહુ કેતુ કી નહિ ગમ્યતા, સંગ શનિચર હોત ઉચેરો.

જાનકીનાથ સહાય કરે જબ, કૌન બિગાડ શકે નર તેરો ?’

ગીતના સુમધુર સ્વર સાંભળીને સૌ મુગ્ધ થઈ ગયા. ગીતનો ઢાળ અને ભાવ તો સરસ હતો જ પરંતુ એવો જ સરસ હતો છોકરાનો કંઠ. ઈશ્વરે એને ખૂબ જ અદભુત અને અમૃતમય કંઠ અર્પણ કરેલો. એ કંઠમાંથી નીકળતા સુધામય શબ્દોનો સ્વાદ લઈને શ્રોતાજનોના આનંદનો પાર ન રહ્યો. બધાંના દિલ ધન્ય ધન્ય બોલી ઊઠ્યા.

ગીત પૂરું થયું એટલે કોલેજનું સમારંભસ્થાન તાળીઓના ગડગડાટથી ગાજી ઉઠ્યું. સૌએ પોતાની પ્રસન્નતા પ્રકટ કરી.

એ સમારંભના મુખ્ય અતિથિ તરીકે આવેલા જિલ્લા કલેક્ટર શ્રી સુદે પણ છોકરાના કંઠથી મુગ્ધ થઈને તાળી પાડવામાં સાથ પુરાવ્યો.

પરંતુ કેવળ તાળી પાડીને એ બેસી ના રહ્યા. એમણે એ છોકરાને ધન્યવાદ આપીને એના વિશે માહિતી મેળવી.

છોકરાના પિતાનું મૃત્યુ થયેલું અને એ દેશપ્રેમથી પ્રેરાઈને દેશને માટે કુરબાની કરતા મરેલા. એ જાણીને કલેક્ટરશ્રીના અંતરમાં અનોખી લાગણી થઈ આવી.

એમણે છોકરાને બોલાવ્યો અને શાબાશી આપીને કહ્યું, ‘તું કાલે મને મારા બંગલે મળી શકીશ ?’

છોકરાએ હા પાડી.

‘કાલે સાંજે મને મળજે.’ કલેક્ટરે કહ્યું, ‘હું ઘેર જ હોઈશ. મારો બંગલો જોયો છે ?’

છોકરાએ માથું ધુણાવ્યું એટલે કલેક્ટરે તથા બીજા ભાઈઓએ એને પૂરું ઠેકાણું બતાવ્યું. છોકરો સમજી ગયો.

કલેક્ટરે એને પોતાને ત્યાં ફરી આવવાનું કહ્યું, ને સમારંભના પ્રમુખને તથા કોલેજના પ્રધાન આચાર્યને કહ્યું, ‘આ છોકરાની સ્થિતિ છેક સાધારણ લાગે છે. હું એને મારાથી બનતી બધી જ મદદ કરીશ.’

છોકરો રાજી થઈને પોતાની જગ્યાએ બેસી ગયો. એને નવી આશા અને નવા ઉત્સાહની પ્રાપ્તિ થઈ.

કલેક્ટરની લાગણી જોઈને મને ઘણો જ આનંદ થયો. ખાસ તો એટલા માટે કે એ છોકરો પિતા વગરનો, પછાત સ્થિતિનો, દીનહીન, ઉત્તમ ભાવિ જીવનની શક્યતાવાળો, અને મદદ માટે બધી રીતે યોગ્ય હતો. એવા એક સામાન્ય બાળક પર એમણે બતાવેલી માયા અથવા મમતા ઘણી મૂલ્યવાન હતી. મને થયું કે છોકરાનું જીવન હવે સરળ બનશે. કલેક્ટરની સહાનુભૂતિ, સહૃદયતા તથા સામાન્ય વ્યક્તિને સહાય કરવાની વૃતિને માટે મારા મનમાં માનની ભાવના પેદા થઈ.

કેમ ના થાય ? આપણા નાના મોટા અમલદારો અને નેતાઓ એવી રીતે જ નમ્રતાથી યુક્ત થઈને બીજાને મદદરૂપ થવાની ભાવના કેળવે અને એ ભાવનાનો અમલ કરે તો એમની સહૃદયતા તથા સેવાભાવના જનસમાજને માટે કેટલી બધી ઉપયોગી અથવા આશીર્વાદરૂપ થઈ પડે ? કેટલી બધી કાયાપલટ કરનારી ઠરે ? અમલદારો અને નેતાઓના જ નહિ પરંતુ સૌના દિલમાં એવી ભાવના પેદા થાય તો ? સમાજની સુરતને બદલાતા ને સોનાની થતાં વાર ન લાગે.

એ સહૃદય કલેક્ટર સાહેબ શ્રી સુદ. એ સાધારણ સ્થિતિનો છતાં સરસ કંઠવાળો છોકરો આજે પણ મારી આંખ આગળ તરવરે છે. જે ગીતે એણે ગાઈ બતાવ્યું તે જ ગીત જાણે કે એના જીવનના જીવતાજાગતા ઉદાહરણરૂપ થઈ પડ્યું. જાનકીનાથ સહાય કરે તો કોણ બગાડી શકે ? કોઈ બગાડી તો શકે જ નહિ, પરંતુ બગડેલી કે બગડવા બેઠેલી બાજી પણ સુધરી જાય. જાનકીનાથે એ છોકરાની બાજી સુધારવા ધારેલી. એટલે જ એને એકદમ આકસ્મિક રીતે કલેક્ટરનો મેળાપ આપ્યો અને એથી આગળ વધીને કલેક્ટરના દિલમાં ભાવના જગાવી.

ગમે તેમ પણ એ પ્રસંગ મને ઘણો પાવન લાગ્યો. એ યાદગાર પ્રસંગને અક્ષરદેહમાં અંકિત કરતાં મને આનંદ થાય છે. મને ખાતરી છે કે એ છોકરાએ કલેક્ટરની સૂચના પ્રમાણે બીજે દિવસે એમની મુલાકાત લીધી હશે ને કલેક્ટરે એને શક્ય એટલી બધી સહાયતા પણ કરી હશે. છોકરાના જીવનમાં એથી નવજીવનની પ્રાણવાન લહેર કહી રહી હશે કે ...

‘જબ જાનકીનાથ સહાય કરે ...’ તો શું ના થાય ?

એ પંક્તિ મારા કાનમાં જ નહિ, આખાય અંતરમાં, અણુઅણુમાં ગુંજી ઊઠે છે.

ધન્ય એ પંક્તિને, ધન્ય એને ગાનાર, ધન્ય એને સાંભળનાર અને ધન્ય એને જીવનમાં ઝીલી જાણનાર !

 - શ્રી યોગેશ્વરજી