Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
यो वा एतामेवं वेदापहत्य पाप्मानमनन्ते ।
स्वर्गे लोके ज्येये प्रतितिष्ठति प्रतितिष्ठति ॥९॥

yo va etam evam vedapahatya papmanam anante
svarge loke jyeye pratitishthati pratitishthati.

મન ને ઈન્દ્રિયનો સંયમ કરવો ને તપ કરવું છાજે,
કર્મ કરી નિષ્કામ જગતમાં અલિપ્તસમ રે’વું ભાવે;
પ્રાપ્ત એક છે ઈશ્વર કરવા એ જ ધ્યેય કરવું છાજે,
આ રીતે જે જાણે જન તે શાશ્વત પરમાત્મા પામે. ॥૮-૯॥

અર્થઃ

યઃ - જે
એતામ્ વૈ - આ દિવ્ય પ્રખ્યાત બ્રહ્મવિદ્યાને
એવમ્ - આવી રીતે સ્પષ્ટ રીતે
વેદ - જાણી લે છે
(સઃ - તે)
પાપ્માનમ્ - પાપકર્મોને
અપહત્ય - નષ્ટ કરીને
અનંતે - અવિનાશી, અનંત
જયેયે - સર્વોત્તમ
સ્વર્ગલોકે - સ્વર્ગલોક અથવા પરમધામમાં
પ્રતિતિષ્ઠતિ - પ્રતિષ્ઠિત થાય છે.
પ્રતિતિષ્ઠતિ - સદા માટે સ્થિતિ કરે છે.

ભાવાર્થઃ

કેનોપનિષદનો આ છેલ્લો મંત્ર છે. એટલા માટે મંત્રને અંતે પ્રતિતિષ્ઠતિ શબ્દનો બે વાર પ્રયોગ કરવામાં આવ્યો છે. આ મંત્રમાં કહેવામાં આવ્યું છે કે જીવનની આધ્યાત્મિક સફળતા તથા સાર્થકતા માટે શાસ્ત્રજ્ઞાનની પ્રાપ્તિ પછી સ્વાનુભૂતિના ક્ષેત્રમાં પ્રવેશવાનું છે. વિચાર અને આચારનો સુમેળ સાધવાનો છે. પરોક્ષ જ્ઞાનને અપરોક્ષ જ્ઞાનમાં પલટાવવાનું છે. સાધનાના મંગલમય માર્ગે આગળ વધીને જીવનને કુકર્મથી રહિત કરવાનું છે. પવિત્ર થવાનું છે. એવા ધન્ય સાક્ષાત્કારી સત્પુરુષને છેવટે પરમાત્માના દિવ્ય અવિનાશી પરમધામની પ્રાપ્તિ થાય છે. આપણે કહીશું કે એનું જીવન સર્વપ્રકારે ધની ને ધન્ય થાય છે. પરમાત્માના પરમધામ અથવા કમનીય કલ્યાણકારક કૃપા-ક્રીડાસ્થળ જેવું બની જાય છે. જીવન એને માટે જ મળેલું છે. એને પરમાત્માના પ્રશાંત પરમ પ્રસન્ન પૂર્ણ પરમધામમાં પલટાવવા માટે, પરમાત્મામય કરવા માટે. એમાં જ એની સફળતા છે. આવું સુંદર જ્યોતિર્મય જીવન મળ્યું છે તો એનો બનતો સદુપયોગ કરવો જોઇએ.

મીરાંએ ગાયું છેઃ

નહિ ઐસો જનમ વારંવાર
ક્યા જાનું કછુ પુન્ય પ્રકટે માનુસા અવતાર .. નહિ

ભવસાગર અતિ જોર કહિયે વિષમ ઓખી ધાર,
સુરત કા નર બાંધે બેડા વેગિ ઉતરે પાર ... નહિ

બઢત પલપલ, ઘટત છિનછિન, ચલત ન લાગે વાર,
વિરછકે જ્યોં પાત ટૂટે, લાગે નહિં પુનિ ડાર .. નહિ

સાધુસંતા તે મહંતા ચલત કરત પુકાર,
દાસ મીરાં લાલ ગિરિધર જીવના દિન ચાર ... નહિ