યોગેશ્વર હે મારી માત !
તુજને વંદુ વારંવાર,
તીર્થશ્રેષ્ઠ જનની હે મારી,
ગુરુદેવરૂપે છે પધારી;
દૈવી દેવદુલારી માત...તુજને વંદું...
સર્વોત્તમ સંસ્કારો ધરતી,
જીવનવનને ઉપવન કરતી,
ઉતારે કરુણાથી ભવ પાર...તુજને વંદું...
જપતપ પ્રેમે પૂર્ણ કરાવે,
વ્હાલ તણી વર્ષા વરસાવે,
પૂરણ પવિત્ર પ્રેમલ માત...તુજને વંદું...
નિરાશા મહીં આશા ભરતી,
સુખદુઃખમાં સંગાથે ફરતી,
ધરતી વડલા જેવી છાંય...તુજને વંદું...
વાણીમાં શ્રીશારદા રમતી,
લક્ષ્મી એને ચરણે વસતી,
સિદ્ધિ મુક્તિ તું સાક્ષાત્...તુજને વંદું...
સ્વર્ગસુખ મળ્યું તારા ચરણે,
પરમશાંતિ છે તારા શરણે,
આનંદ મંગલ મંદિર-દ્વાર...તુજને વંદું...
MP3 Audio
રચના સમયના મનોભાવો
સાધક પોતાના સદગુરુમાં પવિત્ર માતાના સ્વરૂપની પણ ઝાંખી કરતો હોય છે. સદગુરુનો સમગ્ર જીવનવ્યવહાર એક માતા તરીકેનો જ અનુભવવા મળ્યો ત્યારે આ પદ લખાયું. સર્વ તીર્થોમાં ભટકવાની હવે જરૂર ના રહી. સદગુરુરૂપી નવજીવનની માતા મળી, તો તેના સ્વરૂપમાં જ સર્વ તીર્થો સમાઈ ગયેલાં જોવા મળ્યાં પોતે માળી બનીને જીવનના ઉજ્જડ જંગલને ઉપવન બનાવનારી હે ગુરુમાવડી ! તને વારંવાર વંદન હો.
મંત્રજપની સાધનામાં શિથિલતા આવે તો પ્રેમથી ટકોર કરીને, હે મા ! તું મને આગળ વધારે છે. જીવનની નિરાશાની દુઃખદ પળોમાં પણ જ્ઞાનના વડલાની છાયા ધરીને મારી સાથે જ રહેતી, હે સદ્ ગુરુ માવડી ! તારા એ પરમ પવિત્ર સ્વરૂપને પ્રેમમય પ્રણામ.
સાધકને માટે તો સદગુરુ માવડી સાક્ષાત્ સરસ્વતીદેવી છે, જે અજ્ઞાનના આવરણને હઠાવી દે છે. તે સાક્ષાત્ લક્ષ્મી છે, જેનો આશ્રય લેનાર સર્વ પ્રકારની સિદ્ધિથી સંપન્ન બની જાય છે.એવી સદગુરુ માવડીનાં શ્રી ચરણે શું શું અનુંભવ્યું તેનું વર્ણન આ પદના અંતિમ વિભાગમાં થયું છે.
પ્રભુનાં અલૌકિક દિવ્યદર્શન પછી જે સ્વગસુખ ભક્ત પોતાના જીવનમાં અનુભવે છે એ જ સ્વર્ગસુખ સાંપડી ગયું. પરમશાંતિનો પવિત્ર સ્પર્શ પણ અનુભવ્યો. પરિણામે, આજે જીવનમાં સર્વકાળે આંનંદમંગલની સતત અનૂભૂતિ અનુભવી શકાય છે. સદગુરુના મા સ્વરૂપનાં આ રીતે દર્શન કરવાનું સદભાગ્ય મળ્યું.

