શરણું લીધું સંત ! તમારું,
ધન્ય બન્યું છે જીવન અમારું.
માત ને તાત મારા સંત બન્યા,
મમતા ને વાત્સલ્ય એવાં મળ્યાં;
સર્વે સંબંધો એમાં ભળ્યા,
સેવેલાં સ્વપ્નાં પાર પડયાં...શરણું...
પ્રાર્થના સઘળી પૂર્ણ બની,
આનંદ મંગલ આઠે ઘડી;
આધિ-વ્યાધિ-ઉપાધિ ગઈ ટળી,
અખંડ સુખ ને શાંતિ વરી...શરણું...
MP3 Audio
રચના સમયના મનોભાવો
સંતના શરણે જીવન ધન્ય બન્યું એવો જીવંત પ્રેરક અનુભવ સાધનાક્ષેત્રે થયો ત્યારે આ પદ લખાયું.
જે જે સ્વપ્નો પ્રભુપંથે સેવ્યાં તે તે સ્વપ્નો સાકાર બનીને પૂર્ણ થયાં, એથી આનંદ-આનંદ અનુભવવા મળ્યો.
સંસારમાં સર્વ સંબંધોને સંતનાં શ્રી ચરણે ભેળવી દીધા તો પરમસુખ ને પરમશાંતિના સરોવરમાં સ્નાન કરવાનું સદભાગ્ય સાંપડયું.
હવે તો અખંડ શાંતિ, અખંડ સુખ, પ્રભુકૃપાએ સાચા સમર્થ સંતના શ્રી ચરણે અનુભવવા મળે છે.
તનમનથી સાચું શરણ લેનારને પ્રભુ કૃતકૃત્ય કરી દે છે તે આ પદ ઉપરથી જાણી શકાશે.

