४१. श्रोत्राकाशयोः संबन्धसंयमाद् दिव्यं श्रोत्रम् ।
41. shrotra akashayoh sambandha samyamat divyam shrotram
કાન ને આકાશના સંબંધમાં સંયમ કરવાથી યોગીને દૈવી કાનની પ્રાપ્તિ થાય છે.
કર્ણેન્દ્રિયની ઉત્પતિ અહંકારમાંથી થયેલી છે. તે આકાશની ઉત્પતિ અહંકારજનિત શબ્દતન્માત્રામાંથી થયેલી છે. એટલા માટે આકાશ, શબ્દ ને કર્ણેન્દ્રિય ત્રણેની એકતા છે. તે કાન ને આકાશના સંબંધમાં સંયમ કરવાથી યોગીની શ્રોત્રેન્દ્રિય અલૌકિક બની જાય છે. પછી તેનામાં દૂરશ્રવણની શક્તિ આવી જાય છે. એટલે કે તે દૂરના શબ્દને સાંભળી શકે છે, તેમજ અત્યંત સૂક્ષ્મ શબ્દો પણ સાંભળી શકે છે.
*
४२. कायाकाशयोः संबन्धसंयमाल् लघुतूलसमापत्तेश्चाकाशगमनम् ।
42. kaya akashayoh sambandha samyamat laghu tula samatatti cha
શરીર તેમજ આકાશના સંબંધમાં સંયમ કરવાથી અથવા તો રૂ જેવી હલકી વસ્તુમાં સંયમ કરવાથી યોગીમાં આકાશગમન કરવાની શક્તિ આવી જાય છે. તેનું શરીર છેક હલકું બની જાય છે, ને તે ગમે ત્યાં જઇ શકે છે.
*
४३. बहिरकल्पिता वृत्तिर्महाविदेहा ततः प्रकाशावरणक्षयः ।
43. bahih akalpita vrittih maha-videha tatah prakasha avarana ksayah
મનની શરીરની બહારની સ્થિતિને વિદેહધારણા કહે છે. મન શરીરની અંદર હોય ત્યારે જો તે કેવલ ભાવના પૂરતી થાય તો કલ્પિત કહેવાય છે. પણ શરીરનો સંબંધ છોડી દઇને મન બહાર સ્થિર થાય છે, ત્યારે તે સ્થિતિ અકલ્પિત કહેવાય છે. કલ્પિત ધારણાના અભ્યાસથી અકલ્પિત ધારણાની સિદ્ધિ થાય છે. તેને મહાવિદેહા કહે છે. તેથી જ્ઞાનના આવરણનો નાશ થઇ જાય છે.
*
४४. स्थूलस्वरूपसूक्ष्मान्वयार्थवत्त्वसंयमाद्भूतजयः ।
44. sthula svarupa suksma anvaya arthavattva samyamad bhuta-jayah
પંચમહાભૂતોની દરેકની પાંચ અવસ્થા છે -
૧. સ્થૂલાવસ્થા ર. સ્વરૂપાવસ્થા ૩. સૂક્ષ્માવસ્થા ૪. અન્વયાવસ્થા પ. અર્થતત્વાવસ્થા. તે પાંચે પ્રકારની અવસ્થાઓમાં સંયમ કરવાથી યોગી પંચમહાભૂત પર વિજય મેળવી લે છે.
૧) ઇન્દ્રિયો દ્વારા પ્રત્યક્ષ અનુભવમાં આવનારા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ એ પાંચ વિષય પંચમહાભૂત સ્થૂલ અવસ્થા છે.
ર) પંચ-મહાભૂતનાં લક્ષણ તેમની સ્વરૂપાવસ્થા કહેવાય છે. પૃથ્વીમાં સ્થિરતા, જળમાં પ્રવાહી કે ભીનાપણું, અગ્નિમાં ઉષ્ણતા કે પ્રકાશ, વાયુમાં કંપ કે ગતિ ને આકાશમાં અવકાશ તે દરેકની સ્વરૂપાવસ્થા છે.
3) પંચ-મહાભૂતની કારણ-અવસ્થા તેની સૂક્ષ્મ અવસ્થા કહેવાય છે. તેને તન્માત્રા કે સૂક્ષ્મ મહાભૂત પણ કહે છે. પૃથ્વીની સૂક્ષ્માવસ્થા ગંધતન્માત્રા, જલની રસતન્માત્રા, અગ્નિની રૂપતન્માત્રા, વાયુની સ્પર્શતન્માત્રા ને આકાશની શબ્દતન્માત્રા.
૪) પંચ-મહાભૂતમાં ત્રણ ગુણોનો સ્વભાવ - પ્રકાશ, ક્રિયા ને જડતા કે સ્થિતિરૂપે રહેલો છે તે તેમની અન્વયાવસ્થા છે.
પ) પંચ-મહાભૂત પુરુષના ભોગ ને મોક્ષને માટે છે. તે જ તેનો અર્થ કે તેનું પ્રયોજન છે. માટે તેને અર્થતત્વાવસ્થા કહેવામાં આવે છે.
*
४५. ततोऽणिमादिप्रादुर्भावः कायसंपत् तद्धर्मानभिघातश्च ।
45. tatah anima adi pradurbhavah kaya sampad tad dharma anabhighata cha
એવી રીતે પંચ મહાભૂત પર વિજય મેળવવાથી અણિમાદિ અષ્ટ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે, કાયસંપતની પણ પ્રાપ્તિ થાય છે, ને પંચ મહાભૂતના ધર્મો બાધક થતા નથી. તે ધર્મો પર તેનો વિજય થઇ જાય છે.
અષ્ટ સિદ્ધિના ખ્યાલ માટે આટલી સમજ જરૂરી છેઃ-
૧) અણિમા એટલે અણુ જેવું સૂક્ષ્મ રૂપ ધારણ કરી લેવું. હનુમાનને લંકાપ્રવેશ વખતે ને શંકરાચાર્યે મંડનમિશ્રના ઘરમાં પ્રવેશ કરતી વખતે એવું સ્વરૂપ ધારણ કર્યું હતું.
ર) લઘિમા એટલે શરીરને હલકું કરી દેવું. આ સિદ્ધિને લીધે આકાશગમન કરી શકાય છે, ને પાણી, કાદવ તથા કંટકાદિ પરથી સહેલાઇથી પસાર થઇ શકાય છે.
3) મહિમા એટલે શરીરને મોટું કરી દેવું અથવા મોટું સ્વરૂપ ધારણ કરવું.
૪) ગરિમા એટલે શરીરને ભારે કરી દેવું.
પ) પ્રાપ્તિ એટલે જેની ઇચ્છા થાય તે પદાર્થ સંકલ્પમાત્રથી પ્રાપ્ત થઇ જાય તેવી શક્તિવાળી સિદ્ધિ.
૬) પ્રાકામ્ય એટલે સાંસારિક પદાર્થોની કામનાની કોઇ યે પ્રકારના અંતરાય વિના પૂર્તિ થઇ જવી.
૭) ઇશિત્વ એટલે પંચ મહાભૂત તેમ જ તેમાંથી ઉત્પન્ન થનારા પદાર્થોને ઉત્પન્ન કરવાની ને તેમના પર સત્તા ચલાવવાની શક્તિ.
૮) વશિત્વ એટલે પંચ મહાભૂત તેમ જ તેમાંથી ઉત્પન્ન થનારા પદાર્થો ને સમસ્ત સંસારનું વશ થઇ જવું.
ભૂતોના ધર્મ યોગીને બાધક થતા નથી. તેનો અર્થ એવો છે કે તેને અગ્નિ બાળી શક્તો નથી. પાણી તેને ગાળી કે ડુબાડી શકતું નથી, પૃથ્વીની અંદર પણ તે સહેલાઇથી પ્રવેશ કરી શકે છે. સ્થૂલભાવ પૃથ્વીનો ધર્મ કહેવાય છે. તે ધર્મ તેને કોઇ રીતે અંતરાયરૂપ થતો નથી.

