Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

३६. ततः प्रातिभश्रावणवेदनादर्शास्वादवार्ता जायन्ते ।
36. tatah pratibha sravana vedana adarsha asvada varta jayanta

તે સ્વાર્થસંયમથી છ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે -

૧. પ્રાતિભ, ર. શ્રવણ, 3. વેદન, ૪. આદર્શ, ૫. આસ્વાદ ને ૬. વાર્તા.

૧) પ્રાતિભ સિદ્ધિથી ભૂત, ભાવિ ને વર્તમાનનું જ્ઞાન થઇ જાય છે, તથા ગુપ્ત કે દૂર દેશમાં પડેલી વસ્તુ જોઇ શકાય છે.
ર) શ્રવણ સિદ્ધિથી દિવ્ય શબ્દ સાંભળી શકાય છે.
3) વેદન સિદ્ધિથી દિવ્ય સ્પર્શનો અનુભવ થાય છે.
૪) આદર્શ સિદ્ધિથી દિવ્ય રૂપનું દર્શન થાય છે.
૫) આસ્વાદ સિદ્ધિથી દિવ્ય રસનો અનુભવ થઇ શકે છે.
૬) વાર્તા સિદ્ધિથી દિવ્ય ગંધનો અનુભવ થાય છે.

*

३७. ते समाधाव् उपसर्गा व्युत्थाने सिद्धयः ।
37. te samadhau upasargah vyutthane siddhayah

તે સિદ્ધિઓ સમાધિની દશામાં પુરુષનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે વિઘ્નરૂપ કહેવાય છે. વ્યુત્થાન દશામાં તે સિદ્ધિઓ કહેવાય છે.

*

३८. बन्धकारणशैथिल्यात् प्रचारसंवेदनाच् च चित्तस्य परशरीरावेशः ।
38. bandha karana shaithilyat prachara samvedanat cha chittasya para sharira aveshah

કર્મસંસ્કાર ચિત્તના બંધનનું કારણ છે. તેનું ફળ ભોગવવા માટે જ ચિત્તને કોઇ ને કોઇ શરીરની અંદર બંધાવું પડે છે. તે બંધનના કારણરૂપ કર્મસંસ્કારોને યોગાભ્યાસ અથવા સમાધિ દ્વારા શિથિલ કરીને ચિત્તને નિર્મળ કરી શકાય છે. તે ઉપરાંત ચિત્તની ગતિનું જ્ઞાન પણ થઇ શકે છે. તેમ થવાથી યોગીની અંદર એવી શક્તિ આવી જાય છે કે પોતાના ચિત્તને શરીરની બહાર કાઢીને તે બીજાના મરેલા કે જીવતા શરીરના અંદર પ્રવેશ કરી શકે છે. ચિત્તની સાથે સાથે ઇન્દ્રિયો પણ આપોઆપ ચાલી જાય છે.

*

३९. उदानजयाज्जलपङ्ककण्टकादिष्वसङ्ग उत्क्रान्तिश्च ।
39. udana jayat jala panka kantaka adisu asangah utkrantih cha

ઉદાનવાયુનો વિજય કરવાથી યોગી જલ, કાદવકીચડ, કંટકાદિથી અસંગ રહી શકે છે. તે વસ્તુઓ પરથી સહેલાઇથી તે પસાર થઇ શકે છે. તેનું શરીર તે વસ્તુઓને અડતું નથી, ને તેની ઉર્ધ્વગતિ પણ થઇ શકે છે. તેનું શરીર રૂ જેવું હલકું થઇ જાય છે. એટલે તે ઉપર પણ ઉઠી શકે છે. જમીનથી ઉપર સ્થિતિ કરી અથવા ચાલી શકે છે.

પ્રાણ જીવનનો આધાર છે. તેનાં પાંચ ભેદ છે: પ્રાણ, અપાન, વ્યાન, સમાન ને ઉદાન.

૧) પ્રાણ - પ્રાણ સૌમાં મુખ્ય છે. મુખ ને નાક દ્વારા તેની ગતિ થાય છે. નાકના અગ્રભાગથી હૃદય સુધી તેનો પ્રદેશ ગણાય છે.
ર) અપાન - અપાન નીચેના ભાગમાં ગમન કરે છે. નાભિપ્રદેશથી માંડી પગનાં તળિયાં સુધી તેનો પ્રદેશ છે. મળ, મૂત્ર તથા ગર્ભ તેના જ વેગથી નીચે ઉતરે છે કે બહાર નીકળે છે.
3) વ્યાન - વ્યાન આખા શરીરમાં વ્યાપ્ત થઇને ફરે છે.
૪) ઉદાન - ઉદાન ઉપરના ભાગ તરફ ગમન કરે છે. તેનું મુખ્ય મથક કંઠ છે. મસ્તક તરફ તેની ગતિ છે. મૃત્યુ વખતે સૂક્ષ્મ શરીર તેના જ બળથી શરીરની બહાર નીકળી જાય છે.
૫) સમાન - સમાનનો પ્રદેશ હૃદયથી માંડીને નાભિ સુધીનો છે. ખાનપાનના રસને તે શરીરમાં બધે ઠેકાણે પહોંચાડી દે છે. તેની ગતિ સમ છે.

*

४०. समानजयात् प्रज्वलनम् ।
40. samana jayat prajvalanam

સંયમની સહાયતાથી યોગી સમાન વાયુ પર વિજય મેળવે છે, ત્યારે તેનું શરીર અગ્નિ જેવું તેજસ્વી અથવા તો અત્યંત તેજોમય બની જાય છે.