Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

३१. कूर्मनाड्यां स्थैर्यम् ।
31. kurma nadyam sthairyam

ઉપરના સૂત્રમાં કહેલા કૂપની એક કાચબાના આકારની નાડી છે. તેમાં સંયમ કરવાથી સ્થિરતાની પ્રાપ્તિ થાય છે.

*

३२. मूर्धज्योतिषि सिद्धदर्शनम् ।
32. murdha jyotisi siddha darshanam

મસ્તકમાં જે જ્યોતિ છે તેમાં સંયમ કરવાથી સંસારમાં વસનારા ને વિચરનારા પ્રકટ ને અપ્રકટ સિદ્ધ પુરુષોનાં દર્શન થઇ શકે છે.

*

३३. प्रातिभाद् वा सर्वम् ।
33. pratibhad va sarvam

પ્રાતિભ જ્ઞાન વિવેકજનિત જ્ઞાનનું પૂર્વરૂપ છે. તેની પ્રાપ્તિથી કોઇ ખાસ પ્રકારના સંયમ વિના જ, યોગી બધી વાતોને જાણી લે છે.

*

३४. हृदये चित्तसंवित् ।
34.hirdaye chitta samvit

હૃદયકમળમાં ચિત્તનું સ્થાન છે. તેમાં સંયમ કરવાથી વૃત્તિઓ સાથે ચિત્તનું જ્ઞાન થઇ જાય છે. અથવા તો ચિત્તના સ્વરૂપનું જ્ઞાન થઇ જાય છે.

*

३५. सत्त्वपुरुषयोरत्यन्तासंकीर्णयोः प्रत्ययाविशेषो भोगः परार्थत्वात् स्वार्थसंयमात् पुरुषज्ञानम् ।
35. sattva purusayoh atyanta asankirnayoh pratyaya avishesah bhogah pararthatvat svartha samyamat purusha-jnanam

સત્વ એટલે બુદ્ધિ તેમ જ પુરુષ બંને તદ્દન જુદાં જુદાં છે કેમ કે બુદ્ધિ જડ, પરિણામશીલ, ભોગ્ય ને ચંચલ છે; ને પુરુષ ચેતન, અપરિણામી, ભોક્તા ને અસંગ છે. છતાં અજ્ઞાનને લીધે તે બંનેની એકતા લાગે છે. તેથી બંનેનું અલગ અલગ જ્ઞાન નથી થતું. તે દશામાં ચિત્તના સુખ-દુઃખ, રાગ-દ્વેષ ને મોહ જેવા ધર્મોનું આરોપણ અજ્ઞાની માણસ ચિત્તમાં પ્રતિબિંબિત ચૈતન્ય પુરુષમાં કરે છે. એ અભેદની પ્રતીતિને ભોગ કહેવામાં આવે છે. એ અભેદવૃત્તિ જોકે ચિત્તનો ધર્મ છે, પરંતુ સાચા અર્થમાં પુરુષને માટે જ છે. માટે પરાર્થ કહેવાય છે. આ ભોગમય વૃત્તિથી જુદી એવી પુરુષની જે સ્વરૂપવિષયક વૃત્તિ પ્રકટે છે તે સ્વાર્થ કહેવાય છે. કેમ કે તે પુરુષને માટે જ છે. તે સ્વાર્થવૃત્તિમાં સંયમ કરવાથી પુરુષનું જ્ઞાન થઇ શકે છે. બુદ્ધિમાં પ્રતિબિંબિત થનારા પુરુષના ચેતનરૂપને તેવા સંયમથી જાણી શકાય છે.