Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

०६. तस्य भूमिषु विनियोगः ।
6. tasya bhumisu viniyogah

એ સંયમનો વિનિયોગ જુદી જુદી ભૂમિઓમાં ક્રમવાર કરવો જોઇએ.

પહેલાં સ્થૂલ વિષયોમાં સંયમ કરતા શીખવું જોઇએ. પછી સૂક્ષ્મ વિષયોમાં સંયમ કરવો જોઇએ. એ પ્રમાણે સંયમની સાધનામાં ક્રમેક્રમે આગળ વધવું જોઇએ.

*

०७. त्रयम् अन्तरङ्गं पूर्वेभ्यः ।
7. trayam antar angam purvebhyah

પહેલાં કહેવામાં આવેલાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ ને પ્રત્યાહાર એ પાંચ અંગો કરતાં આ છેલ્લાં ત્રણ અંગો (ધારણા, ધ્યાન ને સમાધિ) વધારે મહત્વનાં અને અંતરંગ ગણાય છે. યોગની સિદ્ધિ અથવા કૈવલ્યદશાની સાથે તેને નજીકનો સંબંધ છે.

*

०८. तद् अपि बहिरङ्गं निर्बीजस्य ।
8. tad api bahir angam nirbijasya

પરંતુ તે ત્રણ અંગો નિર્બીજ સમાધિનાં તો બહિરંગ સાધનો જ છે. પરવૈરાગ્યની દૃઢતા થતાં સમાધિપ્રજ્ઞાના સંસ્કારોનો પણ નિરોધ થઇ જાય, ત્યારે નિર્બીજ સમાધિની સિદ્ધિ થઇ શકે છે. એટલે સૌથી મહત્વનું કે મૂલ્યવાન અંતરંગ સાધન તો નિર્બીજ સમાધિ જ છે.

*

०९. व्युत्थाननिरोधसंस्कारयोरभिभवप्रादुर्भावौ निरोधक्षणचित्तान्वयो निरोधपरिणामः।
9. vyutthana nirodhah samskara abhibhava pradurbhavau nirodhah ksana chitta anvayah nirodhah-parinamah

વ્યુત્થાન દશાના સંસ્કારો દબાઇ જાય ને નિરોધ દશાના સંસ્કારો પ્રકટ થઇ જાય, તે નિરોધકાળે સંસ્કારથી ભરેલા ચિત્તનું નિરોધ પરિણામ છે.

નિરોધ દશામાં ચિત્તની સંપૂર્ણ વૃત્તિનો નિરોધ થઇ જાય છે પણ ચિત્તના સંસ્કારોનો નાશ થતો નથી. એ વખતે કેવલ સંસ્કારો કાયમ રહે છે. તેથી નિરોધ દશામાં ચિત્તમાં વ્યુત્થાન ને નિરોધ બંને પ્રકારના સંસ્કારો આવેલા હોય છે. તે નિરોધ દશામાં વ્યુત્થાનના સંસ્કારો દબાઇ જાય છે, ને નિરોધ સંસ્કારો પ્રકટ થાય છે, તેને સંસ્કારમય ચિત્તનું વ્યુત્થાન ધર્મમાંથી નિરોધ ધર્મમાં પરિણત થનારું નિરોધ પરિણામ કહેવાય છે.

*

१०. तस्य प्रशान्तवाहिता संस्कारात् ।
10. tasya prashanta vahita samskarat

સંસ્કાર બલથી જ્યારે વ્યુત્થાન દશાના સંસ્કાર બિલકુલ દબાઇ જાય છે, ને નિરોધના સંસ્કાર જામી જાય છે, ત્યારે ચિત્તમાં કેવળ નિરોધ સંસ્કારોનો પ્રવાહ ચાલ્યા કરે છે. તે નિરુદ્ધ ચિત્તનું અવસ્થા-પરિણામ છે.