ચિતોડની ભૂમિમાં પદાર્પણ કરતી વખતે મહારાણા પ્રતાપની સ્મૃતિ પ્રબળ બને એ સ્વાભાવિક છે.
મહારાણા પ્રતાપને માટે ભારતભૂમિ ગૌરવ ધરાવે છે.
ભારતીય ઈતિહાસમાં એ પ્રતાપી વીરપુરુષનું નામ સુવર્ણાક્ષરે અંકિત થયેલું છે.
ભારતવાસી એ નામને અને એમની સાથે સંકળાયેલા ગૌરવને કદાપિ નહિ ભૂલી શકે.
એ વીરપુરુષ મેવાડનો ત્યાગ કરીને પર્વતો અને જંગલોમાં ફરતા હતા અને બધી રીતે નિરાશ થઈ ગયેલા ત્યારે, એમના એક પ્રજાજન ભામાશાએ પોતાના જીવનભરનું એકઠુ કરેલું ધન એમને અર્પણ કર્યું ને એ ધનની મદદથી અકબરનો સામનો કરવા જણાવ્યું.
મહારાણા પ્રતાપની આંખ એ જોઈને ભીની થઈ.
ભામાશાએ કહ્યું, 'તમે દુઃખી છો ત્યારે તમારા પ્રજાજન તરીકે હું કેવી રીતે સુખી રહી શકું ? મારું ધન શા કામમાં આવવાનું છે ? તમે તેનો સહર્ષ સ્વીકાર કરો.'
પ્રતાપને માટે એ ધન ખુબ જ ઉપયોગી થઈ પડ્યું.
ભામાશાનો એ પ્રસંગ તો જૂનો થઈ ગયો છે, પરંતુ એની પાછળની ભાવના જૂની ના થાય તેનું ધ્યાન રાખવાનું છે. દેશમાં જે દુઃખ, દરિદ્રતા, અનર્થ અને આતંક છે એનો અંત આણવા પ્રત્યેક પ્રજાજને ભામાશા બનવાનું છે ને પોતાની શક્તિ, સંપત્તિ કે સામગ્રીનો, દેશની સુરક્ષા, સલામતી, સમૃદ્ધિ અને શાંતિ માટે સદુપયોગ કરવાનો છે. પોતાના જીવનનો ઉત્સર્ગ કરવાનો છે. દેશના નવનિર્માણમાં એવા એક નહિ અનેક ભામાશાઓની આવશ્યકતા છે.
- શ્રી યોગેશ્વરજી

