રેલગાડીના ડબામાં બેસું છું કે અનંતકાળની રેલગાડી યાદ આવે છે.
એ ગાડીમાં બેસતાં બેસતાં મેં કેટકેટલું અંતર કાપી નાખ્યું;
કેટકેટલા સંબંધો કર્યા ને કેવા ભાતભાતના ને જાતજાતના અનુભવો મેળવ્યા !
જીવનની યાત્રાનો મને શોક નથી, મોહ નથી.
મારે માટે અત્યંત આનંદની વાત એ છે
કે આ યાત્રામાં મને તમારો સ્નેહભીનો સાથ મળી ગયો છે.
તમારા સહવાસમાં મને સદાયે સુખ છે, શાંતિ છે, ને મારી મુક્તિ પણ તેમાં જ સમાયેલી છે.
તમારી સુધાઢળેલી સોડમાં સુતાંસુતાં ને મધુર ગીત ગાતાં
જીવનની આ મહાન યાત્રાને હું મંગલમય બનાવીશ ને સફળતા સાથે પૂરી કરીશ.
યાત્રા પૂરી થશે પણ આપણે તો છૂટાં નહિ જ પડીએ.
- શ્રી યોગેશ્વરજી

