તમારી કૃપાની અલૌકિક મહાપ્રસાદી મેળવીને
છેલ્લા કેટલાક દિવસથી મારું તન પાવન થયું છે,
મન મધુમય બન્યું છે, ને જીવન ધન્યતાનું ગીત ગાઈ રહ્યું છે.
હું નથી માનતો કે આ મહાભાગ્ય મારા કોઈ ચિરકાલીન તપનું પરિણામ છે
અથવા તો કોઈ વ્રત કે શ્રમની સાધનાનો પરિપાક.
એના મૂળમાં તો માત્ર તમારી કૃપા જ કામ કરી રહી છે.
તમે કૃપા કરીને મારી સામે પ્રકટીને તમારા પ્રેમનો મધુર પ્યાલો મને પ્રેમ કરીને પાઈ રહ્યાં છો.
તેથી મારું શાંત હૃદય વધારે શાંત થયું છે.
તમે મને દર્શન દેવાનું ને પ્રેમ કરવાનું શરૂ કરીને ખરેખર મારું મગંલ કર્યું છે.
બદલામાં હું તમને શું આપું ?
એ જ કે જીવન તમારું છે ને તમારું જ રહે;
પ્રાણ તમારો છે ને તમારો જ રહે ને મારું જીવન તમને વધુ ને વધુ ચાહે,
એ પ્રાર્થના વિના તમને બીજું શું આપું ?
- શ્રી યોગેશ્વરજી

