આજે તો તમારા શીતલ સ્પર્શથી
મારું તન ને મન પુલકિત ને પ્રફુલ્લ બની ગયું છે, ને મને નવજીવન મળ્યું છે.
મારા મસ્તક પર હાથ મૂકીને તમે મારા ચિંતાના ભારને હળવો કર્યો છે,
ને મને નવો અવતાર ધર્યો છે.
મારા શરીરે હાથ ફેરવીને તમે મારા અણુએ અણુમાં શાંતિ કરી નાખી છે.
હજારો સિતારના કોઈ સુરીલા સૂર ઉઠતા હોય તેમ
અંતરમાં કોઈક અલૌકિક સંગીત શરૂ થયું છે.
ખરેખર મારું જીવન ધન્ય બન્યું છે.
તમારી આ અમૃતમયી આંખ મારી આંખમાં મંડાયેલી જ રહે,
ને મને સદાયે સહજ સમાધિનો સ્વાદ ધરે, એવી મારી પ્રાર્થના છે.
આ ઉત્તમ અવસર પર મારી તમારા પવિત્ર ચરણોમાં પ્રાર્થના છે.
- શ્રી યોગેશ્વરજી

