Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
ભારતના મુખ્ય મુખ્ય ગ્રંથોમાં સિદ્ધિ વિશે સારી માહિતી મળી રહે છે. કેનોપનિષદમાં ઈન્દ્રાદિ દેવો યુદ્ધમાં વિજયી થવાથી અભિમાની બન્યા હતા તે કથા આવે છે. તેમનું અભિમાન દૂર કરવા પરમાત્મા તેમની સામે યક્ષના રૂપમાં પ્રકટ થાય છે. અગ્નિ, વાયુ જેવા દેવો તેની પાસે જાય છે, પણ નિષ્ફળની જેમ પાછાં ફરે છે. છેવટે ઈન્દ્ર તેની પરીક્ષા કરવા જાય છે. પણ તે પાસે પહોંચે તે પહેલાં જ યક્ષ અદ્રશ્ય થઈ જાય છે. ઈન્દ્ર આશ્ચર્ય સાથે જુએ છે તો યક્ષને બદલે અંતરીક્ષમાં તેને પ્રકાશના પુંજ જેવી અલૌકિક દેવીનું દર્શન થાય છે. ઈચ્છા પ્રમાણે સ્વરૂપ ધારણ કરવાની ને અદ્રશ્ય થઈ જવાની સિદ્ધિ તરફ ઉપનિષદે આમ સંકેત કર્યો છે.

આ ઉપરાંત, બીજું ઉદાહરણ પણ મળી શકે છે. કઠ ઉપનિષદમાં આવે છે કે યજ્ઞ કરનાર પિતાનાં 'જા, તને મૃત્યુના હાથમાં સોપું છું.’ એવા વચનો સાંભળતાંવેંત બાળક નચિકેતા યમને ત્યાં પહોંચી જાય છે. એ વાત વાંચનારને ભાગ્યે જ વિચાર થાય છે કે આ કેવી રીતે બન્યું. નચિકેતા મૃત્યુલોકમાંથી યમલોકમાં કેવી રીતે પહોંચી શક્યો ? પ્રાચીન કાળના અસુરો પાસે પણ કેટલીય જાતની સિદ્ધિઓ હતી. તો નચિકેતા તો નીતિપરાયણ ઋષિપુત્ર હતો. ઈચ્છાનુસાર ગમે ત્યાં જવાની સિદ્ધિથી જ તે યમલોકમાં જઈ શક્યો હતો. આ સિદ્ધિ તેને કેવી રીતે મળી તે વાતની ચર્ચા કરવાનું અહીં અસ્થાને છે. આપણે તો એ જ કહેવા માગીએ છીએ કે આ પ્રસંગ સિદ્ધિના પુરાવારૂપ છે. આથી વધારે જાણવાની ઈચ્છા હોય તો બૃહદારણ્યક ઉપનિષદમાં આત્મજ્ઞાનીની સંકલ્પસિદ્ધિ વિશેનું પ્રકરણ જુઓ. સંકલ્પસિદ્ધિની શક્તિથી સાચા જ્ઞાની જે-જે લોકમાં જવા માગે છે તે-તે લોકમાં જઈ શકે છે ને ઈચ્છા પ્રમાણે બધાં જ કામ કરી શકે છે તેનું વર્ણન તેમાં વિસ્તારથી કરેલું છે.

મહાભારતમાં પણ મંત્રની સિદ્ધિ દ્વારા ધનુર્વિદ્યાના પ્રયોગોનું કેટલેક ઠેકાણે વર્ણન છે. દ્રોણાચાર્યે આ જ વિદ્યાની સિદ્ધિથી કૂવામાં પડેલા કૌરવપાંડવના દડાને તરત બાણ સાથે કૂવામાંથી બહાર કાઢ્યો હતો. મંત્રશક્તિ દ્વારા બાણ મારીને સર્પ અને અગ્નિ તથા પાણી ઉત્પન્ન કરી શકાતાં, અને અંધકાર તથા પ્રકાશ પણ ફેલાવી શકાતા. એ શક્તિના પ્રભાવથી બાણ પોતાનું ધાર્યું કામ પૂરું કરીને બાણાવળીના ભાથામાં પાછું આવી જતું, ને શત્રુના શિર સાથે પણ આવી જતું. પ્રાચીન ભારતમાં મંત્રશક્તિથી ધનુર્વિદ્યાના કેવા ચમત્કારિક પ્રયોગો કરી શકાતા તેની માહિતી મહાભારતના વાચકને સહેલાઈથી મળી શકે છે. એ પ્રયોગો આગળ તો આજના વિજ્ઞાનના પ્રયોગો પણ છેક જ સાધારણ લાગે. પરંતુ તે બધું વાંચવાની ને વાંચેલું માનવાની મોટા ભાગના માણસોની ઈચ્છા જ નથી એ મોટી કમનસીબી છે.

રામાયણમાં સંજીવની બૂટી લાવવા માટે હનુમાનજી લંકામાંથી આકાશમાર્ગે હિમાલય ગયા તે આકાશમાર્ગે ઊડવાની સિદ્ધિ હતી. બૂટી લઈને આવતા ભરતજી તેમને કોઈ રાક્ષસ માની બાણ મારીને નીચે પાડે છે. પછી બંને વચ્ચે વાર્તાલાપ થાય છે. તેમાં ઘણો વખત વીતી જાય છે. સવાર થતાં પહેલા હનુમાનજીને લંકામાં પહોંચવું છે. એટલે ભરતજી તેમને મંત્રેલા બાણ પર બેસાડીને ક્ષણ વારમાં લંકામાં પહોંચાડી દે છે. મંત્રશક્તિના પ્રભાવથી જ આ બની શક્યું હતું. સીતાનું હરણ કરનાર રાવણ સીતાને લઈને આકાશમાર્ગે પોતાના રથમાં ઊડ્યો હતો. તેની આજ્ઞાથી તેના મામા મારીચે મૃગનું રૂપ ધારણ કરીને સીતાની પર્ણકુટી પાસે પ્રવેશ કર્યો હતો તે પણ સિદ્ધિના પ્રભાવથી જ. રામાયણની કથાને અંતે સીતાનાં વચન સાંભળતાવેંત પૃથ્વી ફાટે છે, ને સીતા તેમાં સમાઈ જાય છે, એ વચનસિદ્ધિ, સંકલ્પસિદ્ધિ કે પવિત્રતાની સિદ્ધિ નહિ તો બીજું શું હતું ?

ભાગવતમાં પણ સિદ્ધિનું વર્ણન આવે છે. દેવહુતિને આનંદ આપવા કર્દમ ઋષિએ સંકલ્પમાત્રથી પ્રકટ કરેલું દિવ્ય વિમાન આજના કોઈ પણ વિમાન કરતાં ચડિયાતું હતું. રામાયણના પુષ્પક વિમાનની જેમ તે પણ કોઈનીય મદદ વિના, બેસનારની ઈચ્છા પ્રમાણેની દિશામાં ચાલતું. ભાગવતના મૂર્તસ્વરૂપ જેવા પરમ ભાગવત દેવર્ષિ નારદ પ્રભુની કૃપાથી અનેક લોકોમાં અબાધિત રીતે વિચરણ કર્યા કરે છે. સગરના સાઠ હજાર પુત્રોનો મહર્ષિ કપિલે માત્ર આંખ ઉઘાડીને એકસાથે નાશ કરી દીધો હતો તે મહર્ષિની મહાન સિદ્ધિથી જ બની શક્યું હતું. દ્રૌપદીના ચીરહરણ વખતે ભગવાને તેની રક્ષા કરી, ગોપીઓની સાથે અનેક રૂપ ધારણ કરીને રાસલીલા કરી, ને ભાગવતના બારમાં સ્કંધમાં કહ્યા પ્રમાણે સદેહે જ પોતાના ધામમાં પ્રયાણ કરીને પોતાની જીવનલીલા પૂરી કરી તે સિદ્ધિના જ પ્રભાવથી કર્યું. ભાગવતમાં આવા અનેક પ્રસંગો છે.

ઘેરંડ સંહિતા ને હઠયોગ પ્રદીપિકા જેવા યોગગ્રંથોમાં સાધના દ્વારા સહજ રીતે પ્રાપ્ત થનારી લોકોત્તર શક્તિનું વર્ણન છે. યોગાગ્નિમય શરીરવાળા યોગીપુરૂષને વ્યાધિ, વાર્ધક્ય કે મૃત્યુ આવી શકતાં નથી. તે મૃત્યુંજય બની જાય છે. અખંડ યૌવન અને આરોગ્યની પ્રાપ્તિ કરી લે છે, એ યોગના પ્રણેતા મહાપુરૂષોનો વિખ્યાત અભિપ્રાય છે. યોગની ખેચરી જેવી મુદ્રા ને પ્રાણાયામની વિવિધ ક્રિયાથી પ્રાપ્ત થતી સિદ્ધિનું વર્ણન યોગગ્રંથોમાં વિસ્તારથી કરેલું છે. આપણે તો તે પ્રત્યે ઈશારો જ કરીએ છીએ.

ભારતીય ધર્મગ્રંથોમાં ને સંતોના જીવનમાં સિદ્ધિનું દર્શન ઠેરઠેર થાય છે. તેનો અર્થ એમ નથી કે બીજા ગ્રંથો ને સંતોના જીવન તેથી રહિત છે. એ વિશે ભારતની બહારના ગ્રંથોમાં સૌથી વધારે માહિતી બાઈબલમાંથી મળી રહે છે. બાઈબલમાં ઈશુની સિદ્ધિ વિશેના કેટલાય પ્રસંગો મળી રહે છે. ઈશુના વચન અને સ્પર્શમાત્રથી રોગીના રોગો દૂર થઈ જતા તે જાણીતું છે. ‘મારા જ શિષ્યોમાંનો એક મને પકડાવી દેશે’ એમ ઈશુએ પોતે પકડાતાં પહેલાં કહી દીધું હતું, ને પોતાને પકડાવી દેનાર શિષ્યનો ઉલ્લેખ પણ કર્યો હતો. તે જ શિષ્યે તેમને પકડાવી દીધા. જીવનની આખરે ઈશુને શૂળી પર ચડાવી તેમના શરીરમાં ખીલા ઠોકવામાં આવ્યા. છતાં તેમના મુખમાંથી એક આહ પણ નીકળી નહિ. તેનું કારણ ઈશુની સહનશક્તિ જ ન હતી, પણ તેમની મહાન યોગશક્તિ હતી. યોગના પ્રભાવથી ઈશુમાં પોતાના શરીરને આત્માથી અલગ ને કોઈ વસ્ત્રની જેમ અનુભવવાની ને અલગ કરવાની શક્તિ હતી. તેથી દેહદંડની અસરથી તે મુક્ત રહી શક્યા.

સિદ્ધિની વાતોને કેટલાક માણસો અતિશયોક્તિમાં ખપાવે છે, તો કોઈ તેને ટાઢા પહોરનાં ગપ્પાં માને છે. કેટલાય માણસો તેને જાદુગરી કે મદારીના ખેલ કહીને ઉડાવી દે છે. સાધારણ માણસો જ નહિ, પણ સારા ને મોટા મનાતા વિદ્વાનોમાં પણ આવી વૃત્તિ દેખાઈ આવે છે. બધી જ વાતોને તર્કની કસોટીએ કસીને માનનારા વિદ્વાનોમાં આ વૃત્તિ વધારે દેખાય છે. પણ સિદ્ધિની કસોટી તર્ક દ્વારા પણ સહેજે થઈ શકે છે એ વાત તેમના ધ્યાન બહાર જ રહી જાય છે. સિદ્ધિની વાતો કાંઈ ટાઢા પહોરનાં ગપ્પાં નથી. તેમ તે જાદુગરી કે મદારીના ખેલ પણ નથી. જે માણસો તેને ઉડાવી દેવાનો પ્રયાસ કરે છે તે પોતાના અજ્ઞાનનું જ પ્રદર્શન કરે છે. અલબત્ત, હાથચાલાકી કે બીજા સારાનરસા પ્રયોગોથી કેટલાક લોકો સિદ્ધિનું પ્રદર્શન કરવા પ્રયાસ કરે છે, ચૌટેચકલે કે બજારે તેના ખેલ કરીને ધન ને મોટપ મેળવે છે. પણ લૌકિક તૃષ્ણાથી ભરેલા, સાત્વિકતા ને સંયમથી રહિત એવા જાદુગરો કરતાં સાચા સિદ્ધિ-પ્રાપ્ત યોગીપુરૂષોનું સ્થાન નિરાળું જ છે. તેવા યોગીને ને તેની શક્તિને પેલી જાદુગરીવિદ્યા સાથે સરખાવીને ઉપેક્ષાની નજરે જોવાનું કામ બરાબર નથી. હાથચાલાકીના ખેલ તો તદ્દન સાધારણ કોટિના છે. સત્વગુણપ્રાપ્ત યોગીને સમાધિના પરિપાકરૂપે, જ્ઞાનીને શુદ્ધ સંકલ્પના ફળરૂપે, ને ભક્તને ભગવાનની કૃપારૂપે, સિદ્ધિ કે લોકોત્તર શક્તિની પ્રાપ્તિ થાય છે. આ સાધનાના સહજ સ્વાભાવિક વિકાસનો એક નિયમ છે. તે ઉપેક્ષણીય નથી, પણ વંદનીય અને આવકારદાયક ને બની શકે તો અનુકરણીય છે.

સાચા સિદ્ધિપ્રાપ્ત યોગી જાહેરમાં ધન, કીર્તિ, સ્વાર્થ કે લૌકિક હેતુની કામનાથી શક્તિનું પ્રદર્શન કદી પણ કરતા નથી. કોઈ અધિકારીને માટે કોઈ વાર તે પોતાની શક્તિનો ઉપયોગ કરે છે, ને બીજાના હિત માટે ઉપયોગ કરે છે, એ યાદ રાખવા જેવું છે. એવો સિદ્ધિપ્રાપ્ત પુરૂષ જો લોકહિતની ભાવનાથી પ્રેરાય ને જાહેર રીતે દેશ ને દુનિયાનાં સેવાક્ષેત્રોમાં પડે તો માનવજાતીનું ખૂબ મંગલ કરી શકે એમાં સંદેહ નથી. લોકોના ભૌતિક કે દુન્યવી જીવનને મદદરૂપ થઈને તેમના નૈતિક અને આત્મિક જીવનને પણ વેગ આપી શકે. નૈતિક ને આત્મિક શક્તિની રીતે અપૂર્ણ ને નિર્બળ લોકસેવકો કરતાં તેની સેવા વધારે સંગીન ને નક્કર તથા નિઃસ્વાર્થ હોય. આ ઉપરાંત, માનવહૃદયનું ને માનવ તથા સમાજ ને સંસારના ભાવિનું જ્ઞાન ધરાવવાની તેવા પુરૂષમાં શક્તિ હોવાથી, માનવ, સમાજ ને સંસારને યોગ્ય દોરવણી આપવામાં પણ તે મદદ કરી શકે. તેના જીવન દ્વારા માનવને આત્મિક વિકાસની ઉત્તમોત્તમ પ્રેરણા પણ મળી રહે. તેનું જીવન આત્મ-વિકાસને ઈચ્છનારા માનવને માટે ધ્રુવપદસમું બની શકે ને સૌને પ્રેરણા આપી શકે. તેવા મહાપુરૂષની નાનીમોટી પ્રવૃત્તિથી સંસારમાં વધારે ને વધારે પ્રેમ, મધુરતા ને સુખશાંતિનો ફેલાવો થાય ને પરમાત્માનો પ્રકાશ બધે પથરાઈ શકે. સાચો સિદ્ધિપ્રાપ્ત પુરૂષ સંસારને આમ અનેક રીતે ઉપયોગી થઈ શકે છે. ભારતમાં એવા કેટલાક સિદ્ધ પુરૂષો થઈ ગયા છે જેમણે વત્તાઓછા પ્રમાણમાં માનવ ને માનવસમાજને સહાય પહોંચાડી છે. તે પ્રમાણે કોઈ પણ સમર્થ પુરૂષ બીજાને સહાય કરી શકે છે. તેવા પુરૂષથી કોઈ સંજોગોમાં ને કોઈ પણ પ્રાણીને નુકસાન તો નહિ જ થાય.

- શ્રી યોગેશ્વરજી