Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
બે યુવાનોએ એક દિવસ મારી મુલાકાત લીધી. તે કહેવા માંડ્યા : ‘અમારે પૃથ્વીને પલટાવી દેવી છે. સમાજને સુધારવો છે. તે માટે શું કરવું તે કહી બતાવો. અમે આખીએ દુનિયાને દૈવી કરવા માગીએ છીએ.’

મેં તેમની પાસે મધનું એક ટીપું પાડ્યું. થોડી વારમાં ત્યાં કીડીની કતાર જામી ગઈ. તે જોઈને તેમને કહ્યું : ‘તમે શું જોયું ?’

‘મધનો સ્વાદ લેવા કીડીઓ ટોળે વળી છે.’ તેમણે ઉત્તર આપ્યો.

‘એમાં તમારે માટે શિક્ષા સમાયેલી છે.’ મેં તેમને ખુલાસો કર્યો: ‘બીજાને સુધારવા માટે પહેલાં તમારો સુધાર કરો. તમારી કાયાપલટ કરો. તમે મધુમય બનો. એટલે માર્ગની મુશ્કેલી નહીં નડે. મધ તૈયાર થતાં કીડીઓ આપોઆપ આવી પહોંચશે.’

પછી હું તેમને પાસેના સરોવરમાં ખીલેલાં કમળ પાસે લઈ ગયો, ને તેમાં બેઠેલ ભ્રમરને બતાવીને એ જ વાતનું સ્પષ્ટીકરણ કરતાં કહેવા માંડ્યો: ‘તમારી તૈયારી થતાં સેવાની ચિંતા નહીં કરવી પડે. સેવા તમારી દ્વારા આપોઆપ થશે.’

તે સમજી ગયા.

- શ્રી યોગેશ્વરજી