Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

વસંતની વહેલી સવારે મને એક સ્વપ્નું આવ્યું. જાણે હું ઋષિમુનિની સભામાં પહોંચી ગયો. ત્યાં ઋષિઓએ મને પૂછ્યું: ‘શું તમે પૃથ્વી પર જવા તૈયાર છો? માનવ શરીર ધારણ કરવા શું તમે તૈયાર છો?’

મેં કહ્યું: ‘માનવશરીર ધારણ કરીને પૃથ્વી પર જવાથી શું થશે ? શું કોઈ વિશેષ હેતુ સરી શકશે ?’

તેમણે કહ્યું: ‘જરૂર, કોઈને મદદ કરાય, પ્રભુના ગુણાનુવાદ ગવાય, ને પ્રભુની ઝાંખી કરાય.’

ને તેમની સભામાં મેં કહ્યું કે: ‘હું પૃથ્વી પર જરૂર જઈશ, ને માનવ બનીને લોકોને કહીશ કે મુશ્કેલીઓ હોવા છતાં માનવજીવન એટલા માટે જ જીવના ને ચાહવા જેવું છે.’

ને સ્વપ્નું ઊડી ગયું, ત્યારે જ મને ખબર પડી કે હું તો પૃથ્વી પર જ હતો, ને ઈશ્વરે મારી મારફત કદાચ આ જ હેતુ સિદ્ધ કરવા ધાર્યો હતો.

-શ્રી યોગેશ્વરજી