Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

अथाध्यात्मं यद्देतद्गच्छतीव च मनोऽनेन ।
चैतदुपस्मरत्यभीक्ष्णँ सङ्कल्पः ॥५॥

athadhyatmam yad etad gacchativa ca mano 'nena
chaitad upasmaraty abhikshnam sankalpah.

સૌથી પહેલાં પ્રેમી પરમેશ્વરની ઝાંખી પામે છે,
પછી ખૂબ આતુરતા વધતાં પ્રભુજી પાસે આવે છે;
મનમાં જ્યારે પરમાત્માની પ્રત્યે પ્રીતિ જાગે છે,
ત્યારે તો ક્ષણવાર દૂર રે’વું બહુ બૂરૂં લાગે છે. ॥૪-૫॥

અર્થઃ

અથ - હવે
અધ્યાત્મમ્ - આધ્યાત્મિક (સંદેશ આપવામાં આવે છે.)
યત્ - જે
મનઃ - મન
એતત્ - આ (બ્રહ્મ)ની પાસે
ગચ્છતિ ઇવ - જતું હોય એવું લાગે છે.
ચ - અને
એતત્ - આ બ્રહ્મને
અભીક્ષ્ણમ્ - નિરંતર
ઉપસ્મરતિ - ખૂબ જ પ્રેમપૂર્વક યાદ કરે છે.
અનેન - આ મન દ્વારા જ
સંકલ્પઃ ચ - સંકલ્પ અથવા એ બ્રહ્મના સાક્ષાત્કારની ઉત્કટ ઇચ્છા પણ થાય છે.

ભાવાર્થઃ

એ આખ્યાયિકાનો અન્ય આધ્યાત્મિક અર્થ પણ અહીં બતાવવામાં આવ્યો છે. એ અર્થ પ્રમાણે વિચારીએ તો ઇન્દ્ર મન છે. મનને સાધનામાં જોડી સાધક સ્વરૂપના સાક્ષાત્કાર માટે અથવા પરમાત્માના પ્રત્યક્ષ દર્શનને માટે પ્રયાસ કરે છે. પરંતુ એ સાક્ષાત્કાર અથવા દર્શનનો લાભ એને સહેલાઇથી નથી મળતો. એથી એનું સંકલ્પબળ વધારે ને વધારે બળવાન બને છે, એની સાધના સતતતા ધારણ કરે છે, એને એનો પરમાત્મા પ્રત્યેનો પ્રેમ પરાકાષ્ઠાએ પહોંચે છે. ત્યારે ભગવતી હૈમવતી ઉમાદેવીનું એટલે કે પરમાત્માની પરમકૃપાનું એના જીવનમાં અવતરણ થાય છે. પછી પરમાત્મદર્શન દૂર રહેતું નથી. ઉષાના પ્રાકટ્ય પછી સૂર્યોદય સહજ બને છે તેમ એ કૃપાથી જ પરમાત્માનો સાક્ષાત્કાર સ્વાભાવિક રીતે થઇ રહે છે. સાધકની આરંભની આવશ્યકતા આદર્શપરાયણ, એકનિષ્ઠ, નિર્મળ અને મંગલ મનની છે.