Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

જેને રામ રાખે રે, તેને કોણ મારી શકે?
અવર નહિ દેખું રે, બીજો કોઈ પ્રભુ પખે.

ચાહે અમીરને ભીખ મગાવે, ને રંકને કરે રાય,
થળને થાનક જળ ચલાવે, જળ થાનક થળ થાય;
તરણાંનો તો મેરુ રે, મેરુંનું તરણું કરી દાખવે.

નીંભાડાથી બળતાં રાખ્યાં માંજારીનાં બાળ,
ટીંટોડીનાં ઈંડા ઉગાર્યા, એવા છો રાજન રખવાળ;
અંત વેળા આવો રે, પ્રભુ તમે તેની તકે.

બાણ તાણીને ઊભો પારધી, સીંચાણો કરે તકાવ,
પારધીને પગે સર્પ ડસિયો, સીંચાણા શિર મહીં ઘાવ;
બાજ પડ્યો હેઠો રે, પંખી ઊડી ગયા સુખે.

રજ કાતરણી લઈને બેઠા દરજી તો દીનદયાલ,
વધે ઘટે તેને કરે બરાબર, સૌની લે સંભાળ;
ધણી તો ધીરાનો રે, હરિ તો મારો હીંડે હકે.

- ધીરા ભગત

Add comment

Submit