મારી ચિંતા કોઈ કરશો નહીં,
આધિ વ્યાધિ અનેક ઉપાધિ,
જીવન સૌનું ગયું વહી...મારી...
કાળ ઊભો છે સામે આવી,
પ્રભુ સ્મરણ તમે કરજો સહી...મારી...
ચિંતા ચતુર્ભુજ કરે અમારી,
ભૂલશો ચિંતન તમે નહીં...મારી...
ચિંતા કરજો તમે તમારી,
આતમના ઉદ્ધાર તણી...મારી...
MP3 Audio
રચના સમયના મનોભાવો
સંસારનાં સૌ સ્વજનો ને સ્નેહીઓને, મિત્રવર્ગને સૌને પ્રાર્થના થઈ છે તેના પડઘા આ પદમાં પડે છે.
હિંમતથી, શ્રદ્ધાથી સંસારનો ત્યાગ કર્યો અને પ્રભુપંથે વળી જવાયું ત્યારે સ્વાભાવિક જ જેમને લાગણી, પ્રેમભાવ લોહીની સગાઈ હતી તેઓ ચિંતા કરતાં જણાયાં ત્યારે તેમને એ ચિંતાનો જવાબ આ પદ દ્વારા અપાયો.
સૌના જીવનની ચિંતા કરનાર પ્રભુ બેઠો છે. સંસારી માનવની ચિંતા શા કામમાં આવે છે ? સૌનું રક્ષણ પ્રભુ કરે જ છે.
ધણાં માનવોને જીવનનો બહુમૂલ્ય સમય બીજાની ખોટી ચિંતામાં જ વીતી જાય છે. તે સમયે તેઓ પોતાના જીવનના કલ્યાણની જ ચિંતા કરી, પ્રભુમાર્ગે કંઈક પગલાં ભરે તો અંતે તેમનું જ કલ્યાણ થશે એ વાતની સમજ આ પદમાં આપી છે.
જે પ્રભુ માટે ફકીરી ધારણ કરે તેની ચિંતા, તેની સર્વસંભાળ પ્રભુ જ રાખે છે. પ્રભુમાર્ગે જે જીવ જાય છે. તેની જેને પણ ચિંતા થતી હોય તે સૌને ચિંતા છોડી પ્રભુનું ચિંતન કરવાનો અનુરોધ આ પદમાં કરવામાં આવ્યો છે.

