Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
જગતની અનેકવિધ, પાર વિનાની પ્રવત્તિઓમાં પણ
હે પ્રભુ, તારા સુમધુર સ્મરણને ભૂલું નહિ.

આતુર ને આર્ત આંખમાં અશ્રુધારાની માળા કરીને
ન જાણે કેટકેટલાં ઊભાં રહ્યાં છે !
ને મૂક, મ્લાન કે કરુણ કાળજામાં ક્લેશ લઈને
બીજાં હજારો જીવી રહ્યા છે !
એ સૌના સંકટમાં ભાગ લેતાં પણ,
તારા સુમધુર સ્મરણને ભૂલું નહિ,
હે મારા પ્રભુ, તારા મધુર મુખને ભૂલું નહિ !

કો'ક પડી ગયાં છે, તે હાથ આપતાવેંત બેઠાં થાય છે,
ને લથડી રહેલાં ટેકો લઈ લઈને આગળ જાય છે.
વિશ્વની આ વિશાળ વનવાટે કો'ક ભોમિયા વિના ભમ્યા કરે છે
ને મારગ ના મળવાથી મૂંઝાય છે પણ ખરાં.
એ સૌની સાથે રહીને, એમને આંગળી ચીંધતાં ચીંધતાં પણ,
તારા સુમધુર સ્મરણને ભૂલું નહિ,
તારા મહિમાવંતા મંગલ મુખને ભૂલું નહિ!

કો'ક કરમાયેલા કુસુમની કિનારીને સ્પર્શ કરતાવેંત
તેની પાંખડી પ્રેમથી પરિપ્લાવિત થઈને ખીલી ઊઠે છે,
ને કોઈના તરફ સ્મિત કરતાવેંત તેને નવું જીવન મળે છે.
અરે, આંસુ પણ કોઈકનું જીવનધન,
ને દર્દ પણ કોઈના દિલને દિલાસો આપનારું મહાદાન બને છે.
એ બધી મહેફિલમાં ભાગ લેતાં લેતાં પણ તારા મુખને ભૂલું નહિ !

જગતની અનેકવિધ, પાર વિનાની પ્રવત્તિઓમાં પણ
હે પ્રભુ, તારા સુમધુર સ્મરણને ભૂલું નહિ !

- શ્રી યોગેશ્વરજી