Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

५८. नाना शब्दादिभेदात् ।

અર્થ
શબ્દાદિભોદાત્ = શબ્દાદિના ભેદને લીધે.
નાના = બધી વિદ્યાઓ જુદી જુદી છે.

ભાવાર્થ
ઉપનિષદોમાં જુદી જુદી વિદ્યાઓનાં વર્ણનો આવે છે. એમનાં જુદાં જુદાં નામો પણ કહી બતાવ્યાં છે. દહરવિદ્યા, શાંડિલ્યવિદ્યા, ભૂમવિદ્યા, સદ્ વિદ્યા, ઉપકોસલવિદ્યા, અક્ષરવિદ્યા જેવી વિદ્યાઓની વિધિ જુદી જુદી છે. એ વિદ્યાઓનો લાભ જિજ્ઞાસુજનો પોતપોતાની પ્રકૃતિ, પસંદગી અને રૂચિ પ્રમાણે લઈ શકે છે. એ વિદ્યાઓનું એકમાત્ર પ્રયોજન પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ કરાવવાનું હોવા છતાં પણ એ બધી વિદ્યાઓ એક નથી પરંતુ જુદી જુદી છે એમાં શંકા નથી.

---

५९. विकल्पोङविशिष्टफलत्वात् ।

અર્થ
અવિશિષ્ટફલત્વાત = બધી વિદ્યાઓનું ફળ એક જ છે, ફળમાં ભેદ નથી એટલા માટે.
વિકલ્પઃ = અલગ અનુષ્ઠાન કરાય તે બરાબર છે.

ભાવાર્થ
એ બધી વિદ્યાઓ પરમાત્માના સાક્ષાત્કારમાં મદદરૂપ બનતી હોવાથી એમનો સમુચ્ચય કરીને એમનું અનુષ્ઠાન કરવાનું આવશ્યક નથી. પોતાની રસવૃત્તિ પ્રમાણે સાધક ગમે તે એક અથવા અધિક વિદ્યાઓનું અનુષ્ઠાન કરી શકે છે. ગમે તે એક વિદ્યાનું અનુષ્ઠાન સાધકના સઘળા મનોરથોને પૂર્ણ કરનારૂં, શાંતિ આપનારૂં અને કલ્યાણકારક થઈ પડે છે.

---

६०. काम्यास्तु यथाकामं समुच्चीयेरन्न वा पूर्वहेत्वभावात् ।

અર્થ
કામયાઃ = સકામ ઉપાસનાઓનું અનુષ્ઠાન.
તુ = તો
યથાકામમ્ = કામનાને અનુસરીને. 
સમુચ્ચીયેરન્ = સમુચ્ચય કરીને કરવું.
વા = અથવા.
ન = સમુચ્ચય કર્યા સિવાય અલગ અલગ કરવું.
પૂરવહેત્વભાવાત્ = કારણ કે એમાં પૂર્વોક્ત હેતુ એટલે કે ફળની સમાનતાનો અભાવ છે.

ભાવાર્થ
સકામ ઉપાસનાઓ જુદી જુદી કામનાઓની પૂર્તિ માટે કરવામાં આવે છે એટલે એમનું ફળ એકસરખું નથી હોતુ.. જે વખતે જે ફળની કે કામના પૂર્તિની ઈચ્છા હોય તે વખતે એને માટે કોઈ એક ઉપાસનાનો આધાર લેવો, અને એકથી અધિક ફળપ્રાપ્તિ કે કામના પૂર્તિની ઈચ્છા હોય તો ઠીક લાગે તે ઉપાસનાઓનો સમુચ્ચય પણ કરી લેવો.